આતંકી હુમલાની ધમકી વચ્ચે દેશના બધા જ એરપોર્ટ્સ પર હાઈ-એલર્ટ


- પ્રજાસત્તાક દિન પહેલાં બીસીએએસનું પગલું

- હુમલાની ધમકીના પગલે 20 થી 30 જાન્યુ. સુધી એરપોર્ટ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો

- દિલ્હીથી પૂણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની અફવા, ફ્લાઈટમાંથી કશું શંકાસ્પદ ના મળ્યું

નવી દિલ્હી : આતંકી હુમલાની વધતી ધમકીઓના પગલે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (બીસીએએસ)એ દેશના બધા જ એરપોર્ટ્સ પર હાઈ એલર્ટ જાહેર કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી બાતમીના આધારે ઉચ્ચ સ્તરીય હાઈ-એલર્ટ જાહેર કરાઈ છે. દરમિયાન દિલ્હીથી પૂણે જતી સ્પાઈસજેટના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા ઉડ્ડયન અટકાવાયું હતું. નિશ્ચિત માર્ગદર્શિકા મુજબ વિમાનનું સ્કેનિંગ કરાઈ રહ્યું છે, પરંતુ સલામતી એજન્સીને કશું મળ્યું નથી.

દેશના એરપોર્ટ્સ પર ભાંગફોડની આશંકાઓ અંગે ગુપ્તચર વિભાગના ઈનપુટ્સ પછી સ્થિતિને નિયંત્રણમાં લેવા રાજ્ય પોલીસે ક્વિક રિએક્શન ટીમો બનાવી એરપોર્ટ્સ પર કાર્યવાહી હાથ ધરી હતી અને એરપોર્ટ્સ નજીકની જગ્યાઓમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું હતું. વધુમાં ૩૦મી જાન્યુઆરી સુુધી એરપોર્ટ્સ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

એરપોર્ટ ઓથોરિટીને માઈક્રોલાઈટ એરક્રાફ્ટ્સ, એરો મોડેલ્સ, માનવ રહિત હવાઈ વાહનો, ડ્રોન, પાવર હેંગ ગ્લાઈડર્સ અને હોટ એર બલૂન્સની કામગીરી માટે નિયમનકારી માર્ગદર્શિકાઓના પાલનની ખાતરી કરવા જણાવાયું છે ત્યારે બીસીએએસના ડિરેક્ટર જનરલે તોડફોડ અને આતંક વિરોધી કાર્યવાહી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશભરમાં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઊજવણીને ધ્યાનમાં રાખીને આ દિવસે કોઈપણ અનિચ્છનીય બનાવટ ટાળવા માટે સલામતી સંસ્થાઓને એરપોર્ટ્સ, હેલિપેડ્સ, ફ્લાઈંગ સ્કૂલ્સ અને ઉડ્ડયન તાલિમ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવા જણાવાયું છે.

તકેદારીના ભાગરૂપે એરપોર્ટ્ ઓથોરિટીએ ૨૦મી જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી એરપોર્ટ ટર્મિનલ્સ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એરપોર્ટ્સમાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ હાથ ધરાઈ છે. આ સિવાય એર એમ્બ્યુલન્સ, ગ્રાઉન્ડ સ્ટાફ અને અન્ય સર્વિસ પ્રોવાઈડર્સ પર ચાંપતી નજર રખાઈ રહી છે. કાર્ગો ટર્મિનલ્સ, પાર્કિંગ સ્થળ વગેરેની સલામતી વ્યવસ્થા પણ કડક બનાવાઈ છે. તાત્લાકિ અસરથી અન્ય સલામતી બંદોબસ્ત પણ ગોઠવાયો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

તામિલનાડુમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં અત્યંત સક્રિય આઈએસઆઈએસના આતંકી મોડયુલ તથા ઈસ્ટર હુમલાનો માસ્ટર માઈન્ડ ઝહરન હાશિમે ભારતમાં મહત્વના જાહેર સ્થળો પર હુમલાની ધમકી આપી છે ત્યારે તામિલનાડુમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવાઈ છે. 

દરમિયાન દિલ્હીથી પૂણે જતા સ્પાઈસ જેટના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં એરપોર્ટ અધિકારીઓએ ઉડ્ડયન અટકાવ્યું હતું. આ માહિતી મળતાં જ દિલ્હી પોલીસ તોડતી થઈ હતી અને નિશ્ચિત માર્ગદર્શિકાને અનુરૂપ સિક્યોરિટી ડ્રીલ કરી હતી. વિમાનની તપાસ દરમિયાન કશું જ શંકાસ્પદ મળ્યું નથી. વિમાન ટેક-ઓફ કરી રહ્યું હતું તે સમયે જ એરપોર્ટ ઓથોરિટીને ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. સત્તાવાળાઓએ આ ઘટનામાં વધુ કોઈ માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ લોકોમાં ગભરાટ ફેલાવવા માટે જ આ કોલ કરાયો હતો.

જી 20ની બેઠક માટે વડોદરા એરપોર્ટ પર તૈયારીઓ દરમિયાન

જી૨૦ દેશોની યજમાની ભારત કરી રહ્યું છે અને જી ૨૦ સમિટ દરમિયાન યોજાનારી બેઠકોમાં એક બેઠક સ્ટૂચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ યોજાશે જેના પગલે તે સમય દરમિયાન વડોદરા એરપોર્ટ પર દુનિયાભરના વીવીઆઇપી ગેસ્ટનું આવાગમન થશે એટલે વડોદરા એરપોર્ટ તેની તૈયારી કરી રહ્યુ છે ત્યારે જ આ એલર્ટ મળતા વડોદરા એરપોર્ટની સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eJ04Rxm
via IFTTT

ટિપ્પણીઓ નથી: