હવે સાચવજો! ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 25, અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા


અમદાવાદ, 7 માર્ચ 2023 મંગળવાર

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 103 તાલુકાઓમાં માવઠાની અસર થઈ છે. ત્યારે ડબલ સીઝનને કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે. તેની સાથે કોરોનાએ પણ હવે દેખા દીધી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 25 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 15 અને જિલ્લામાં 1 એમ થઈને કુલ 16 કેસ નોંધાયા છે. 



આજે 836 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યમાં આજે અમરેલી અને રાજકોટમાં બે-બે કેસ નોંધાયા છે. જ્યારે બોટાદ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 100 એક્ટિવ કેસો છે. આજે 6 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર 99.13 ટકા છે. શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 12,66,649 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો કુલ 12,80,85,987 લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાં આજે 836 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


અમદાવાદમાં સૌથી વધારે કેસો પશ્ચિમ વિસ્તારમાં
અમદાવાદમાં કોરોનાના 49 કેસો એક્ટિવ છે. જેમાં સૌથી વધારે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જોધપુર, સેટેલાઈટ, થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાસણા, પાલડી વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ પધારો નોંધાયો છે, સાથે સીઝનલ ફલૂના કેસો વધ્યા છે. જેના કારણે શરદી, ખાંસીના સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જેને પણ શરદી ખાંસી આવતી હોય તેવા લોકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે તેઓ માસ્ક પહેરવું હિતાવહ છે.





from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BP4o9Vj
via IFTTT

ટિપ્પણીઓ નથી: