દેશમાં કોરોનાએ માથું ઉંચકતા વડાપ્રધાનની તાકીદે બેઠક

- કોરોનાના નવા 1134 કેસ, એક્ટિવ કેસો વધીને 7026
- વડાપ્રધાને જિનોમ સિકવેંસિંગનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો: હોસ્પિટલ પરિસરોમાં લોકો માસ્ક પહેરે તે જરૂરી: વૃદ્વોને પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ
- વધુ પાંચ લોકોનાં મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,30,813: દૈનિક પોઝિટીવ રેટ 1.09 ટકા, સાપ્તાહિક પોઝિટિવ રેટ 0.98 ટકા
- કેરળમાં કોરોનાના નવા 172 કેસ: એક્ટિવ કેસો વધીને 1026, 111 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
- રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા
નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા ૧૧૩૪ કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે એક્ટિવ કેસો વધીને ૭૦૨૬ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. વધુ પાંચ લોકોના મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૧૩ થઇ ગયો છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે જ્યારે કેરળમાં અગાઉનું એક મોત નોંધવામાં આવ્યું છે.
દૈનિક પોઝિટીવ રેટ ૧.૦૯ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૯૮ ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬, ૯૮, ૧૧૮ થઇ ગઇ છે.
અત્યાર સુધી સમગ્ર દેશમાં કુલ ૯૨.૦૫ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૩,૮૩૧ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં કોરોના વેક્સિનના અત્યાર સુધી ૨૨૦.૬૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા બે સપ્તાહમાં ઇન્ફલુએન્ઝા અને કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અધિકારીઓને જીનોમ સિક્વેંસિંગનું પ્રમાણ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા હતાં. આ બેઠકમાં કોવિડ-૧૯ અને ઇન્ફલુએન્ઝાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર, લોજિસ્ટિક્સ, રસીકરણ, કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટ, ઇન્ફલુએન્ઝાના પ્રકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા ભારતમાં કોરોનાના વધતા કેસો અને વિશ્વમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં કોરોનાના સરેરાશ દૈનિક કેસોની સંખ્યા વધીને ૮૮૮ થઇ ગઇ છે.
વડાપ્રધાને બેઠકમાં કોરોનાના પોઝિટેવ સેમ્પલનું જીનોમ સિકવેંસિંગ ઇનસાકોગ જીનોમ સિકવેસિંગ લેબોરેટરીમાં કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આમ કરવાથી નવા વેરિઅન્ટની સમયસર જાણ થશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે હોસ્પિટલ પરિસરોમાં દર્દીઓ, હેલ્થ પ્રોફેશનલ અને હેલ્થ વર્કરો માસ્કનો ઉપયોગ કરે તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન ભીડવાળી જગ્યાએ જાય ત્યારે માસ્ક પહેરે તે જરૂરી છે.
કેરળમાં મંગળવારે કોરોનાના ૧૭૨ કેસો નોંધવામાં આવ્યા હતાં. કેરળમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમામ જિલ્લાઓને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જયોર્જે જણાવ્યું હતું કે તિરુવનંતપુરમ અને અર્નાકુલમમાં કોરોનાના વધુ કેસો સપાટી પર આવી રહ્યાં છે. રાજ્યમાં હાલમાં ૧૦૨૬ એક્ટિવ કેસો છે. જે પૈકી ૧૧૧ લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GnYajdp
via IFTTT
ટિપ્પણીઓ નથી: