અયોધ્યામાં બની રહેલા રામમંદિરના ગર્ભગૃહની તાજેતરની તસવીરો આવી સામે, તમે પણ જુઓ!

image : Twitter


અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહની નવી તસવીરો સામે આવી છે. આ તસવીર રામ મંદિર ટ્રસ્ટના એક મહત્વપૂર્ણ સભ્ય દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. આ તસવીરમાં મંદિરનો તે ભાગ દેખાઈ રહ્યો છે જ્યાં ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જાહેર કરાયેલા ફોટામાં જોવા મળે છે કે ગર્ભગૃહમાં ઘણા કારીગરો કામ કરી રહ્યા છે. હજી સુધી તેની છત તૈયાર નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં તે પણ તૈયાર થઈ જશે.

2024ની શરૂઆતમાં મંદિર ખુલ્લું મૂકાઈ શકે 

રામ મંદિર લોકસભા ચૂંટણીના થોડા મહિના અગાઉ જ 2024ની શરૂઆતમાં ખોલવામાં આવનાર છે. ભાજપને આશા છે કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ તેને ચૂંટણીમાં તેનો ફાયદો મળશે અને ફરી એકવાર સત્તામાં વાપસી થશે. ભાજપ માટે રામમંદિરનું મહત્વ જોઈને પાર્ટીના ઘણા મોટા નેતાઓ આગામી મહિનાઓમાં અહીં મુલાકાત લઈ શકે છે. આ સાથે જ તેઓ રામ મંદિરના નિર્માણ અને તેના ઉદ્ઘાટનને ચૂંટણીના મુદ્દા તરીકે ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. રામ મંદિરના નીચેના માળનું અડધાથી વધુ કામ થઈ ગયું છે. જ્યારે ગર્ભગૃહનું કામ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

પીએમ મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિ મૂળ સ્થાને સ્થાપિત કરાશે 

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે બુધવારે આ માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w7NPdS6
via IFTTT

ટિપ્પણીઓ નથી: