અમૃતપાલનો વધુ એક વીડિયો વાયરલ, પંજાબ પોલીસને ફેંક્યો પડકાર, કહ્યું ‘હું ધરપકડથી ડરતો નથી... પણ’

અમૃતસર, તા.30 માર્ચ-2023, ગુરુવાર

ભાગેડુ કટ્ટરપંથી અમૃતપાલ સિંહે પંજાબ પોલીસની સાથે સાથે અન્ય રાજ્યની સરકારોની નાકે પણ દમ લાવી દીધો છે. ભાગતો ફરતો આરોપી અમૃતપાલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે આજે ગુરુવારે કહ્યું કે, હું લોકોની વચ્ચે આવીશ, હું ધરપકડથી ડરતો નથી, હું વિદેશમાં પણ ભાગી જવાનો નથી અને મેં મારા વાળ પણ કપાવ્યા નથી.. તેણે કહ્યું કે શ્રી અકાદ તખ્તના જત્થેદારો વહીર (ધાર્મિક જાગૃતિ પ્રવાસ)ની શરૂઆત કરે અને આ વહીર (પ્રવાસ) અકાલ તખ્ત સાહિબ એટલે કે અમૃતસરમાંથી શરૂ કરવામાં આવે તેમજ બૈસાખીના દિવસે તખ્ત દમદમા સાહિબ તલવંડી સાબો ખાતે સમાપ્ત કરવામાં આવે...

અમૃતપાલ સિંહે વધુમાં કહ્યું કે, બૈસાખી પર ત્યાં સરબત ખાલસા બોલાવવો આવે... હું ધરપકડ થવાથી ડરતો નથી, પરંતુ વિદ્રોહના માર્ગે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અગાઉ ગુરુવારે બપોરે અમૃતપાલનો કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યો હતો, તેમાં તેણે સરેન્ડર પર વાતચીત કરવાની અટકળોને નકારી કાઢી હતી અને તેણે ફરી અકાલ તખ્તને ‘સરબત ખાલસા’ બોલાવવા કહ્યું હતું.

અમૃતપાલને પકડવા પંજાબની 80 હજાર પોલીસ લાગી હતી કામે

અમૃતપાલને પકડવા પંજાબ પોલીસના 80 હજારથી વધુ જવાનો 13 દિવસ સુધી આમ તેમ દોડી રહ્યા છે. આ 13 દરમિયાન દરમિયાન પંજાબ હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે પંજાબ પોલીસના 80 હજાર જવાનો છે છતા પણ અમૃતપાલની હજુ સુધી કેમ ધરપકડ કરવામાં નથી આવી રહી? પોલીસ આખરે કરી શું રહી છે? સાથે જ અમૃતપાલનું આ રીતે ગાયબ થઇ જવું તે ગુપ્તચર તંત્રની પણ નિષ્ફળતા હોવાનું કોર્ટે જણાવ્યું હતું. બાદમાં હાઇકોર્ટના ન્યાયાધીશ એન એસ શેખાવતે સવાલ કર્યો હતો કે આ કેસમાં આટલા બધા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે તો અમૃતપાલની ધરપકડ કરવામાં પોલીસ કેમ નિષ્ફળ જઇ રહી છે. જેના જવાબમાં પોલીસે કહ્યું હતું કે આ અત્યંત સંવેદનશીલ મામલો હોવાથી સાવચેતી પૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

કોણ છે અમૃતપાલ સિંહ?

અમૃતપાલ સિંહ વારિસ પંજાબ દે સંગઠનનો પ્રમુખ છે.તેનો જન્મ ૧૯૯૩માં અમૃતસરના જલ્લુપુર ખેડા ગામમાં થયો હતો.અમૃતપાલ ૨૦૧૨માં ૧૯ વર્ષની ઉંમરે નોકરી માટે પંજાબથી દુબઈ ગયો હતો. તે ૧૦ વર્ષ સુધી દુબઈમાં રહ્યો હતો. તેના કાકાનો દુબઈમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય હતો. તે ખેડૂતોના આંદોલન દરમિયાન દીપ સિદ્ધુ સાથે દિલ્હી બોર્ડર પર આવ્યો હતો.  ત્યારબાદ તે દીપ સિદ્ધુના સંગઠન 'વારિસ પંજાબ દે'નો પ્રમુખ બન્યો હતો. અમૃતપાલે પંજાબમાં ધામક યાત્રા પણ શરૃ કરી હતી. ખાલિસ્તાની ચળવળમાં ગ્રામીણ યુવાનો સામેલ થવા લાગ્યા હોવાનું એવું કહેવાય છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/V3RfH7C
via IFTTT

ટિપ્પણીઓ નથી: