બંગાળની ખાડી પર વાવાઝોડાનું સંકટ, બાંગ્લાદેશ દરિયાકાંઠે ટકરાવાની સંભાવના, આ 11 રાજ્યોને IMDનું એલર્ટ

નવી દિલ્હી, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર

Cyclone in Bay of Bengal : બંગાળની ખાડી ઉપર વધુ એક વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ઉદભવેલું ઊંડુ દબાણ આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે બાંગ્લાદેશ (Bangladesh)ના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. ઉપરાંત હવામાન વિભાગે તમિલનાડુ (Tamil Nadu), પશ્ચિમ બંગાળ (West Bengal) સહિત 10 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

તમિલનાડુ-કેરળમાં ભારે વરસાદની સંભાવના

IMDની આગાહી મુજબ તાજેતરની લહેરોના કારણે 19 અને 20 નવેમ્બરે તમિલનાડુ અને કેરળના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડીએ બુલેટીનમાં કહ્યું કે, 20 નવેમ્બરે તમિલનાડુ અને કેરળ (Kerala)માં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

17 કિલોમીટરની સ્પીડે આગળ વધી રહ્યું છે તોફાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર ઉદભવેલું ડીપ ડિપ્રેશન આજે ગુરુવારે ગંભીર બન્યું છે અને તે અતિ ગંભીર સ્થિતિમાં આવી ગયું છે. ડીપ ડિપ્રેશન પ્રતિ કલાક 17 કિલોમીટરની ઝડપી ગતિએ આગળ વધી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે આજે સવારે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના વિશાખાપટ્ટનમના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ 390 કિલોમીટર તથા ઓડિશાના પારાદીપના દક્ષિણ-દક્ષિણપૂર્વથી 320 કિલોમીટર દૂર હતું. આ બંને રાજ્યોમાં વરસાદની અસર પડવાની સંભાવના છે.

બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું

IMDએ જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની વાવાઝોડાનું પરિવર્તિત થઈ જશે અને આ વાવાઝોડું શનિવારે વહેલી સવારે મોંગલા તેમજ ખેપૂપારા વચ્ચે બાંગ્લાદેશ દરિયાકાંઠો પાર થાય તેવી આશંકા છે. ઉપરાંત હવાની ઝડપ પ્રતિકલાક 55-65 કિલોમીટરથી વધુ 70 કિલોમીટર સુધી પહોંચવાની પણ સંભાવના છે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

આઈએમડીએ આજે અને શુક્રવારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા જિલ્લાઓ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ઉપરાંત ગુરુવારે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા જિલ્લાઓના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ ઉપરાંત ઘણા ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઓડિશાના કેટલાક ભાગોમાં ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેમજ પ્રતિ કલાક 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે માછીમારોને 18 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે, કારણ કે ત્યાં અત્યંત ખરાબ સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગે 18 નવેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરાના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ ઉપરાંત ઘણા સ્થળોએ હળવોથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે મિઝોરમ અને ત્રિપુરાના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. શુક્રવારે અને શનિવારે દક્ષિમ આસામ અને પૂર્વ મેઘાલયના ઘણા ભાગોમાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9UtTqfR
via IFTTT

ટિપ્પણીઓ નથી: