મણિપુરના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠને હથિયારો છોડી શાંતિનો રસ્તો અપનાવ્યો


- સંગઠનના નેતાઓએ દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે શાંતિ કરારો કર્યા

- યુએનએલએફના સભ્યોએ સામૂહિક રીતે હથિયારો છોડયા, અમિત શાહે વીડિયો જાહેર કરી પગલાનું સ્વાગત કર્યું

- 1964માં યુએનએલએફની સ્થાપના થઇ હતી, હિંસાઓને પગલે સંગઠન પરના પ્રતિબંધને 16મીએ લંબાવાયો હતો

નવી દિલ્હી : હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મોટા ઉગ્રવાદી સંગઠને શાંતિનો માર્ગ અપનાવ્યો છે, યૂનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટ (યુએનએલએફ)એ હથિયારો છોડીને સરકાર સાથે શાંતિ કરારો કર્યા છે. સરકાર અને સંગઠનના નેતાઓ દ્વારા ઘણા સમયથી શાંતિ માટે વાટાઘાટો ચાલી રહી હતી, જેનો આખરે અંત આવ્યો છે. ઉગ્રવાદીઓના સંગઠનના નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બુધવારે શાંતિ કરારો પર સહી કરવામાં આવી હતી. આ અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી.  

ગૃહ મંત્રીએ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરવામાં આવી છે. પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવાના મોદી સરકારના અથાક પ્રયાસોમાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો છે. યૂનાઇટેડ લિબરેશન ફ્રંટ (યુએનએલએફ)એ નવી દિલ્હીમાં એક શાંતિ કરારો પર સહી કરી છે. આ સાથે જ ગૃહ મંત્રીએ ટ્વિટર પર આત્મસમર્પણ કરી રહેલા ઉગ્રવાદીઓની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં હથિયારો મુકીને ઉગ્રવાદીઓ જતા જોવા મળ્યા હતા. તેમણે સાથે જણાવ્યું હતું કે યુએનએલએફ મણિપુરનું સૌથી જુનુ હથિયારી સંગઠન છે. જેણે હથિયારોને છોડીને મૂખ્ય પ્રવાહમાં આવવાનો નિર્ણય કર્યો છે, જેનુ અમે સ્વાગત કરીએ છીએ. 

યૂનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટ (યુએનએલએફ) મણિપુરમાં વર્ષોથી હિંસક લડાઇ લડી રહ્યું હતું, સંગઠનની રચના સમાજવાદી મણિપુરની સ્થાપના માટે થઇ હોવાનો દાવો તે કરતુ આવ્યું છે. ૨૦૧૨માં એનઆઇએએ પણ સ્વીકાર કર્યો હતો કે આ સંગઠનની પ્રવૃત્તિઓ મણિપુર રાજ્યમાં સંપ્રભુતા લાવવા માટેની છે. 

યુએનએલએફના ચીફ સના યાઇમાનું માનવુ છે કે મણિપુર માર્શલ લો હેઠળ છે, તેમણે મણિપુરમાં થયેલી ચૂંટણીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લોકશાહીથી પણ લાવવો શક્ય છે. આ સંગઠનની સ્થાપના ૧૯૬૪માં કરવામાં આવી હતી, જેમાં ૨૦ વર્ષ પહેલા બે હજારથી વધુ સભ્યો હતા. આ સંગઠનના ઉગ્રવાદીઓ એકે ૪૭ જેવા હથિયારો પણ ધરાવે છે. 

આ સંગઠન પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો, પ્રતિબંધને હજુ ૧૬ દિવસ પહેલા જ પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો હતો. યુએનએલએફની સ્થાપનાના કેટલાક વર્ષો બાદ અન્ય સંગઠનોની સ્થાપનાઓ થવા લાગી, જેઓએ અલગ મણિપુર દેશની માગણી ઉગ્ર બનાવી હતી. સરકાર દ્વારા તેમની માગણીઓનો સ્વીકાર ના કરાતા રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. ૧૯૮૦માં કેન્દ્ર સરકારે મણિપુરને અશાંત ક્ષેત્ર જાહેર કરીને આફ્સ્પા લાગુ કરી દીધો હતો, જેમાં સૈન્યને અન્ય રાજ્યો કરતા કાર્યવાહી કરવામાં વધુ છૂટ મળી ગઇ હતી. આફ્સ્પાનો ભારે વિરોધ પણ થયો હતો. હાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મણિપુરમાં કૂકી અને મૈતેઇ આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. જેમાં અનેક લોકો માર્યા ગયા છે. જોકે આ હિંસા અનામતના વિવાદને લઇને શરૂ થઇ હતી. હાલમાં આત્મસમર્પણ કરનારા સંગઠનની તાજેતરની હિંસામાં કોઇ ભૂમિકા હોવાના અહેવાલો સામે નથી આવ્યા. કે ના આ સંગઠને પોતે હિંસામાં સામેલ હોવાનો દાવો કર્યો હતો. જોકે તેના આત્મસમર્પણને કારણે મણિપુરમાં અન્ય ઉગ્રવાદી સંગઠનો પણ હથિયાર મૂકીને શાંતિનો રસ્તો અપનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AxzM4Yq
via IFTTT

ટિપ્પણીઓ નથી: