મફત રેશન યોજના 5 વર્ષ સુધી લંબાવવી દેશમાં ગંભીર આર્થિક સંકટના સંકેત : જયરામ રમેશે PM મોદી પર સાધ્યું નિશાન

ભોપાલ, તા.05 નવેમ્બર-2023, રવિવાર

PM મોદીએ તાજેતરમાં જ એક રેલી દરમિયાન મફત રેશન યોજનાને વધુ 5 વર્ષ સુધી લંબાવવા અંગે મોટી જાહેરાત કરી હતી. જેના પર હવે કોંગ્રેસ લાલઘૂમ છે. આ મામલે કોંગ્રેસે મોદી સરકાર સામે નિશાન તાકતાં કહ્યું છે કે મફત રેશન યોજનાને આગામી પાંચ વર્ષ માટે આગળ લંબાવવાનો નિર્ણય દેશમાં સતત વધતાં જતાં આર્થિક સંકટ અને વધતી અસમાનતાને પ્રતિબિંબિત કરે છે. 

કોંગ્રેસ વતી જયરામ રમેશે તાક્યું નિશાન 

મોદી સરકારના આ નિર્ણયને આકરી ટીકા કરતાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઈટ પર એક પોસ્ટ કરી હતી. તેમાં પીએમ મોદી પર આ મુદ્દે પોતાના જ વલણને ફેરવી તોળવાનું આરોપ મૂક્યો હતો. જયરામ રમેશે પોસ્ટમાં લખ્યું કે મોટાભાગના ભારતીયોની આવક જરૂરી વસ્તુઓની આકાશ આંબતી કિંમતોને અનુરૂપ નથી. હવે આ નવી જાહેરાત વધતાં જતાં આર્થિક સંકટ અને વધતી અસમાનતાનો જ સંકેત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે પીએમ ગરીબ કલ્યાણા યોજના (PMGKY)ને આગામી પાંચ વર્ષ માટે આગળ વધારાશે. 

અગાઉ પીએમ મોદી જ તેના વિરોધી હતા 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યોહ તો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખુદ પીએમ મોદીએ સપ્ટેમ્બર 2013માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ (NFSA)નો વિરોધ કર્યો હતો. જયરામ રમેશે કહ્યું કે પીએમજીકેવાય બીજું કંઈ જ નહીં પણ એનએફએસએ જ છે પહેલાથી જ 80 કરોડ ભારતીયોને આવરી લે છે. 

પીએમ મોદીનો યુ ટર્ન ગણાવ્યો 

જયરામ રમેશે કહ્યું કે આ પીએમ મોદી દ્વારા લેવાયેલા યુ ટર્નનું એકમાત્ર ઉદાહરણ નથી પરંતુ મનરેગા ઉપર પણ જે મહામારી દરમિયાન જીવનરક્ષક સાબિત થઇ હતી તેના પર પોતાનું વલણ બદલવા મજબૂર થવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે દુર્ગામાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે સરકાર 80 કરોડ ગરીબ લોકોને કવર કરીને મફત રેશન યોજનાને પાંચ વર્ષ માટે આગળ વધારશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/f7Wh6G1
via IFTTT

ટિપ્પણીઓ નથી: