100 કરોડના વસૂલી કેસમાં CBI કરશે દેશમુખ વિરૂદ્ધ આરોપોની તપાસ: HCનો નિર્ણય


- મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 2021, સોમવાર

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન સોમવારે મુંબઈ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપોની તપાસ હવે સીબીઆઈ કરશે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપો મામલે બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જો કે, સીબીઆઈ તાત્કાલિક આ મામલે કેસ નહીં નોંધે. 

બોમ્બે હાઈકોર્ટે અરજી પરની સુનાવણી દરમિયાન આ કેસમાં એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા તપાસની વિનંતી કરવામાં આવી હતી તેમ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, અનિલ દેશમુખ પર આરોપો લગાવવામાં આવ્યા છે અને તેઓ જ રાજ્યના ગૃહ મંત્રી છે. આ સંજોગોમાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર ન રહી શકાય. માટે સીબીઆઈએ આ કેસની તપાસ કરવી જોઈએ. 

બોમ્બે હાઈકોર્ટે આપેલા આદેશ પ્રમાણે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ જેમાં બધાએ સહયોગ આપવો પડશે. 15 દિવસની અંદર સીબીઆઈના ડિરેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે. જો સીબીઆઈ રિપોર્ટમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ પરનો કેસ મજબૂત બનશે તો સીબીઆઈ એફઆઈઆર નોંધશે. 

શું છે સમગ્ર વિવાદ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની ટ્રાન્સફર કરવામાં આવી ત્યાર બાદ તેમણે એક ચિઠ્ઠી લખી હતી જેમાં અનિલ દેશમુખે સચિન વાજેને મુંબઈમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરમવીર સિંહે અનિલ દેશમુખ પર આ સિવાય પણ અનેક આરોપો લગાવ્યા હતા. 

પરમવીર સિંહે સૌ પહેલા આ મામલે સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા પરંતુ સર્વોચ્ય અદાલતે તેમને પહેલા હાઈકોર્ટ જવા કહી દીધું હતું.  



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ml4otb
via IFTTT

ટિપ્પણીઓ નથી: