ગુજરાત હાઈકોર્ટે કોરોના સંક્રમણની ચેઇન તોડવા રૂપાણી સરકારને 2-3 દિવસનો કર્ફ્યૂ લાદવા નિર્દેશ


અમદાવાદ, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને આગામી 2 કે 3 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. 

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને કર્ફ્યૂ લાદવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાલી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર 3 હજારની સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ 3,160 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી 7, અમદાવાદમાંથી 6, ભાવનગર-વડોદરામાંથી 1-1 એમ 15ના મૃત્યુ થયા છે.

રાજ્યમાં 9 ઓક્ટોબર એટલે કે 178 દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલમાં 16,252 એક્ટિવ કેસ છે જ્યારે 167 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 3,21,598 જ્યારે કુલ મરણાંક 4,581 છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ 13,900 કેસ નોંધાયા છે જ્યારે 66ના મૃત્યુ થયા છે.





from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rXrK9s
via IFTTT

ટિપ્પણીઓ નથી: