તૂટી ગઈ હિંદી સિનેમાની હીટ નદીમ-શ્રવણની જોડી, કોરોનાએ લીધો શ્રવણ રાઠોડનો ભોગ


- શ્રવણની પત્ની અને દીકરા પણ ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2021, શુક્રવાર

મ્યુઝિકની દુનિયાના શ્રેષ્ઠ ડિરેક્ટર્સ પૈકીના એક શ્રવણ રાઠોડે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શ્રવણ રાઠોડનું યોગદાન ખૂબ મોટું છે. તેમણે પોતાના સાથી નદીમ અખ્તર સૈફી સાથે મળીને બોલિવુડને અનેક શ્રેષ્ઠ ગીતો આપ્યા છે. જો કે, હવે આ જોડી તૂટી ગઈ છે અને શ્રવણના મૃત્યુને લઈ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે. 

થોડા સમય પહેલા શ્રવણ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના દીકરા અને પત્ની પણ કોરોના સંક્રમિત આવ્યા હતા. બાદમાં પરિવારને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શ્રવણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમનો પરિવાર તેમની જોડે નહોતો રહી શક્યો. શ્રવણ રાઠોડને સંજીવ અને દર્શન નામના બે દીકરાઓ છે જે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક જોડી તરીકે કામ કરે છે. 

નદીમે શ્રવણના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'મારો શાનુ હવે નથી રહ્યો. અમે બંનેએ એક આખી જિંદગી સાથે જોઈ છે. અમે ઉંચાઈઓ જોઈ છે અને સાથે જ નીચે પડ્યા છીએ. અમે અનેક રીતે સાથે જ મોટા થયા છે. અમે કદી વાત કરવાનું બંધ ન કરેલું અને કોઈ દૂરી અમને બંનેને દૂર ન કરી શકેલી. મને એ કહેતા ખૂબ દુઃખ થાય છે કે, મારો મિત્ર, મારો સાથી, મારો પાર્ટનર, જે અનેક વર્ષથી મારા સાથે હતો તે હવે નથી રહ્યો. મેં તેના દીકરા સાથે વાત કરી જે ખૂબ જ દુઃખી છે.'

શ્રવણનો જન્મ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના પિતા ચતુર્ભુજ રાઠોડ ધ્રુપદ ટ્રેડિશનના સૌથી પ્રખ્યાત આર્ટિસ્ટ હતા અને તેઓ ખૂબ નામના કમાયા હતા. શ્રવણના પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ અનેક મ્યુઝિક ઈવેન્ટ્સમાં તેઓ પતિ અને બાળકો સાથે સ્પોટ થયા છે. 

લોકપ્રિય સિંગર રૂપકુમાર રાઠોડ અને વિનોદ રાઠોડ એ શ્રવણના ભાઈઓ છે. રૂપકુમારની દીકરી સીમા પણ સિંગર છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dINstQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: