કોરોનાઃ બોકારોથી લખનૌ રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસ, કન્ટેનર્સ પહોંચાડવા એરફોર્સ કાર્યરત

- વાયુસેના જર્મનીથી 23 મોબાઈલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ એરલિફ્ટ કરશે
નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2021, શુક્રવાર
હાલ દેશ કોરોનાના મહાસંકટ સામે ઝઝુમી રહ્યો છે. સતત વધી રહેલા કેસ અને ઉંચે જઈ રહેલા મૃતકઆંકની વચ્ચે ઓક્સિજનની તંગી સૌથી મોટું સંકટ છે. ત્યારે હવે આ સંકટને નાથવા માટે વાયુસેનાએ મોરચો સંભાળી લીધો છે. એરફોર્સ હવે ઓક્સિજન કન્ટેનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં કાર્યરત થઈ ગઈ છે.
ભારતીય વાયુસેનાના બે C17 વિમાનોએ બે મોટા ઓક્સિજન કન્ટેનર્સ, IL76એ એક ખાલી કન્ટેનર બંગાળના પન્નાગઢ પહોંચાડ્યું હતું. આ ત્રણેય કન્ટેનર્સને ઓક્સિજનથી ભરવામાં આવશે અને દિલ્હી લાવવામાં આવશે. ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા વાયુસેના દેશના વિવિધ ક્ષેત્રોમાં આ પ્રકારનું ઓપરેશન પાર પાડશે.
એટલું જ નહીં, વાયુસેના 23 મોબાઈલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ પણ જર્મનીથી એરલિફ્ટ કરશે જેથી તેને હોસ્પિટલની નજીક લગાવી શકાય અને અડચણ વગર ઓક્સિજન સપ્લાય ચાલુ રાખી શકાય.
અગાઉ વાયુસેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ ખાતે કોવિડ ટેસ્ટિંગ સેટઅપ પહોંચાડ્યું હતું જેથી ટેસ્ટિંગ પ્રક્રિયામાં કોઈ પણ જાતની અડચણ ન આવે. ઉલ્લેખનીય છે કે, દેશના અનેક રાજ્યોની હોસ્પિટલો હાલ ઓક્સિજનની તંગીનો સામનો કરી રહી છે.
કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે ઓક્સિજનની તંગી નથી પણ સપ્લાયમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. અનેક જગ્યાએ રોડ માર્ગે ઓક્સિજન પહોંચાડાઈ રહ્યો હોવાથી સમય લાગી રહ્યો છે. આ કારણે જ દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત અનેક ડઝન રાજ્યોમાં હાલ ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે.
બોકારોથી લખનૌ રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસ
દેશના વિભિન્ન રાજ્યોમાં હાલ ઓક્સિજન સંકટ ચાલી રહ્યું છે. આ કારણે ઝારખંડના બોકારો ખાતેથી ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા સપ્લાયને ગતિ આપવામાં આવી રહી છે. શુક્રવારે બોકારોથી લખનૌ માટે ઓક્સિજન એક્સપ્રેસ રવાના થઈ હતી જેમાં કુલ 3 ટેન્કર મોકલવામાં આવ્યા હતા.
ઓક્સિજન એક્સપ્રેસ લખનૌથી 3 ટેન્કર્સ લાવી છે. માત્ર 4 કલાકમાં આશરે 50 ટન લિક્વિડ ઓક્સિજન ભરી દેવામાં આવ્યો હતો. બોકારોથી યુપી, એમપી, છત્તીસગઢ, બિહાર, બંગાળમાં સપ્લાય થઈ રહ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QqCcJV
via IFTTT
ટિપ્પણીઓ નથી: