અકળાયેલા ઈમરાન ખાને કહ્યું- ઈસ્લામનો થઈ રહ્યો છે ખોટો ઉપયોગ

- ફ્રાંસના રાજદૂતને હાંકી કાઢવાની માંગ સાથે પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શન
નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2021, મંગળવાર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના દેશના રાજકીય દળો અને ધાર્મિક જૂથો પર નિશાન તાક્યું છે. તેમના કહેવા પ્રમાણે રાજકીય દળો અને ધાર્મિક જૂથોએ દેશને નુકસાન પહોંચાડવા માટે ઈસ્લામનો દુરૂપયોગ કર્યો છે. વધુમાં તેમણે પોતે પૈગંબર મોહમ્મદના કેસને આંતરરાષ્ટ્રીય ફોરમ પર ઉઠાવવા અન્ય મુસ્લિમ દેશો સાથે ઝુંબેશ શરૂ કરવાના છે તેમ જણાવ્યું હતું.
તહરીક-એ-લબ્બૈકના હિંસક પ્રદર્શનો તરફ ઈશારો કરતા ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનનું આ બહું મોટુ દુર્ભાગ્ય છે કે, ઘણી વખત આપણા રાજકીય દળો અને ધાર્મિક જૂથો ઈસ્લામનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને તેનો એવી રીતે ઉપયોગ કરે છે કે, પોતાના જ દેશને નુકસાન પહોંચાડે છે.
ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનના લોકો પૈગંબર મોહમ્મદને પ્રેમ કરે છે. પરંતુ ઘણી વખત આ પ્રેમનો ખોટો ઉપયોગ કરવામાં આવે ત્યારે હું દુખી થઈ જાઉં છું. શું સરકાર આને લઈ ચિંતિત નથી. શું પૈગંબર મોહમ્મદનો અનાદર થાય છે તો અમને તકલીફ નથી થતી?
પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બૈકના નેતા સાદ રિઝવીની ધરપકડના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સંગઠન પાકિસ્તાનમાં રહેલા ફ્રાંસના રાજદૂતને પાછા મોકલવાની માંગણી કરી રહ્યું છે. હકીકતે ગત વર્ષે ફ્રાંસમાં એક કાર્ટૂન પ્રકાશિત થયું હતું જેને ઈશનિંદાનું ઉદાહરણ ગણાવીને ફ્રાંસીસી રાજદૂતને હાંકી કાઢવાની માંગ સાથે હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે.
ઈમરાન ખાને જણાવ્યું કે, પોતાના દેશી સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડીને તોડફોડ કરવાનો કોઈ અર્થ નથી. જ્યાં ગુનો થયો છે તે દેશને આપણે નુકસાન નથી પહોંચાડી રહ્યા, આપણે આપણા જ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P4dP41
via IFTTT
ટિપ્પણીઓ નથી: