બંગાળઃ સિંગુરમાં મહાસંગ્રામ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો રોડ શો

- શરૂઆતના 3 તબક્કામાં જ ભાજપ 65થી 68 બેઠકો પર વિજય મેળવશે તેવો દાવો
નવી દિલ્હી, તા. 7 એપ્રિલ, 2021, બુધવાર
પશ્ચિમ બંગાળમાં 3 તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવેની લડાઈ અંતિમ 5 ચરણ માટેની છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ મહાસંગ્રામને અનુલક્ષીને બુધવારે ફરી બંગાળ પહોંચ્યા હતા અને સિંગુર ખાતે મેગા રોડ શો કર્યો હતો. અમિત શાહે ફરી એક વખત બંગાળમાં ભાજપના વિજયનો મોટો દાવો કર્યો હતો. અમિત શાહના કહેવા પ્રમાણે શરૂઆતના 3 તબક્કામાં જ ભાજપ 65થી 68 બેઠકો પર વિજય મેળવશે.
સિંગુરમાં ભાજપ આક્રમક
પ્રાથમિક તબક્કામાં ભાજપે જે જોર નંદીગ્રામમાં લગાવ્યું હતું તેવું જ જોર હવે સિંગુરમાં લગાવવા તૈયારી ચાલી રહી છે. મમતા બેનર્જી સિંગુર આંદોલન સાથે જોડાયેલા છે માટે ભાજપ તેમને સિંગુરમાં માત આપવા ઈચ્છે છે. અમિત શાહ સિંગુરના 4 અલગ અલગ વિસ્તારોમાં રોડ શો કરશે.
ભાજપે સિંગુરમાં 4 વખત ટીએમસીના ધારાસભ્ય રહી ચુકેલા રબિન્દ્રનાથ ભટ્ટાચાર્યને તક આપી છે. નંદીગ્રામમાં મમતા માટે શુભેંદુ કમાન સંભાળતા હતા, જ્યારે સિંગુરમાં રબિન્દ્રનાથ આ ભૂમિકામાં રહેતા હતા. હવે બંને ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં છે.
અમિત શાહ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બુધવારે ભાજપ તરફથી બંગાળમાં હાજર રહેશે. યોગી આદિત્યનાથ બુધવારે બંગાળમાં 3 રેલીઓ કરશે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આજે ચૂંટણી રેલીઓ યોજશે. મમતા બેનર્જી બુધવારે જાધવપુર, ટોલીગંજમાં ચૂંટણી સભા યોજશે. તૃણમૂલ કોંગ્રેસ મમતાની રેલીઓ ઉપરાંત આજે પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે. બંગાળમાં 10 એપ્રિલના રોજ આગામી તબક્કાનું મતદાન યોજાશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ShZyP
via IFTTT
ટિપ્પણીઓ નથી: