મહારાષ્ટ્રમાં વધુ એક લેટર બોમ્બ : વાઝેએ પત્ર લખી દેશમુખ પર બે કરોડ માંગવાનો આરોપ લગાવ્યો

મુંબઇ, તા. 7 એપ્રિલ 2021, બુધવાર

મહારાષ્ટ્રમાં મુંબઇના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્ર બાદ રાજકિય ઉથલ પાથલ થઇ હતી. પરમબીર સિંહના આરોપ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામુ આપ્યું છે. ત્યારબાદ હવે સચિન વાઝેએ એક પત્ર લખ્યો છે અને તેના કારણે પણ રાજકિય ગરમાવો વધ્યો છે. સચિન વાઝેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીએ તેમને ફરી વખત નોકરી પર પરત લેવા માટે બે કરોડ રુપિયાની માંગ કરી હતી.

આ સાથે જ સચિન વાઝેએ એક અન્ય મંત્રી ઉપર પણ આરોપ લગાવ્યો છે. મંત્રી અનિલ પરબ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ઠેકેદારો પાસેથી વસુલી કરવાનું કહ્યું હતું. જો કે પરિવહન મંત્રી અનિલ પરબે સચિન વાઝેના આ તમામ આરોપોને ફગાવ્યા છે. સાથએ જ કહ્યું કે તેઓ કોઇ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. અનિલ પરબે તો નાર્કો ટેસ્ટ માટેની તૈયારી પણ દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે સચિન વાઝેને ગયા વર્ષે ફરજ પર પરત લેવામાં આવ્યા હતા. તેમણે એક પત્રની અંદર ચોંકાવનારા દાવા કર્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે એનસીપી પ્રમુખ શરદ પવાર એવું ઇચ્છતા હતા કે મને ફરી વખત ફરજ પર ના લેવામાં આવે. મને જ્યારે 6 જાન્યુઆરી 2020ના દિવસે ફરી વખત સેવામાં લેવામાં આવ્યો ત્યારબાદ પણ કેટલાક લોકો ઇચ્છતા હતા કે મને ફરી વખત ફરજ પરથી દૂર કરવામાં આવે.

પત્રમાં વાઝેએ કહ્યું કે અનિલ દેશમુખે મને કહ્યું હતું કે તેઓ શરદ પવારને મનાવી લેશે અને તે માટે મારે બે કરોડ રુપિયા આપવાના રહેશે. જ્યારે મેં આટલી મોટી રકમ આપવાની અક્ષમતા દર્શાવી ત્યારે તેમણે મને બાદમાં પૈસા આપવાનું કહ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wBQvLV
via IFTTT

ટિપ્પણીઓ નથી: