વિષમ પરિસ્થિતીમાં પણ ડોક્ટર્સ અને નર્સોએ દર્દીઓની સેવા કરી, તમે અમારા માટે સુપર હિરો છો: CM


ગાંધીનગર, તા. 16 એપ્રિલ 2021, શુક્રવાર

ગુજરાતમાં કોરોના અજગરી ભરડામાં લીધું છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાયુ છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને સાથે જ ટેસ્ટિંગના ડોમમાં પણ લોકોએ કલાકો સુધી લાઇનોમાં ઉભુ રહેવુ પડે છે. રાજ્યમાં ગુરૂવારના રોજ એક દિવસમાં કેસનો આંક 8 હજાર પાર કરી ગયો છે. દરમિયાન વણસી રહેવી પરિસ્થિતિની ગુજરાત હાઇકોર્ટે પણ નોંધ લીધી છે અને રૂપાણી સરકારને ફટકાર લગાવી છે. તેવામાં રૂપાણી સરકાર પણ હરકતમાં આવી છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતી વણસતી જાય છે, ત્યારે તેને લઈને આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વિષમ પરિસ્થિતીમાં પણ ડોક્ટર્સ અને નર્સોએ કામ કર્યા છે. તમે અમારા માટે સુપર હિરો છો, 3 લાખથી વધારે દર્દીઓને કોરોનાથી બચાવીને ઘરે પાછા મોકલ્યા છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હતી પરંતુ હવે ફરી એકવાર પરિસ્થિતિ કથળી છે. સીએમ રૂપાણીએ આરોગ્યકર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, રાજ્ય સદા તેમનું ઋણી રહેશે. મહામારીમાં સૌથી વધુ યોગદાન તબીબોનું રહ્યું.

ગુજરાતમાં કોરોનાની સ્થિતી
ગુજરાતમાં ગત વર્ષે કોરોના વાયરસે પગપેસારો કર્યો ત્યારે કુલ કેસનો આંક 8 હજાર સુધી પહોંચવામાં 53 દિવસનો સમય થયો હતો. પરંતુ હવે પરસ્થિતિ એ હદે નિયંત્રણ બહાર થઇ ચૂકી છે કે 24 કલાકના ગાળામાં જ 8 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 8,152 કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદમાંથી 28, સુરતમાંથી 26 એમ 81ના મૃત્યુ થયા હતા.

રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 3,72,768 જ્યારે કુલ મરણાંક 5 હજારને પાર થઇને હવે 5,076 છે. રાજ્યમાં હાલ 44,298 એક્ટિવ કેસ છે જ્યારે 267 દર્દી વેન્ટિલેટર પર છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ 6 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. એપ્રિલના 15 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 68,070 કેસ નોંધાયા છે જ્યારે 557ના મૃત્યુ થયા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RAC0YJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: