બચત યોજનાઓના વ્યાજ દરમાં કાપનો નિર્ણય પાછો ખેંચાયો, PPF-FDને લઈ મહત્વના સમાચાર


- સરકારે બુધવારે 1 એપ્રિલ, 2021થી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને ઘટાડી દીધા હતા

નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર

સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં કાપની જાહેરાત પાછી ખેંચી લીધી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ગુરૂવારે સવારે ટ્વીટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. આ સમાચાર દેશના કરોડો લોકો માટે ખૂબ જ રાહતની વાત છે. સરકારે બુધવારે 1 એપ્રિલ, 2021થી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને ઘટાડી દીધા હતા. 

વ્યાજ દરોમાં કાપનું આ નોટિફિકેશન નવા નાણાંકીય વર્ષના પ્રથમ 3 મહિના માટે જાહેર કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ હવે તમામ યોજનાઓ પર પાછલા માર્ચ ત્રિમાસ દરમિયાન જે વ્યાજ દર હતો તે જ લાગુ રહેશે તેમ જણાવ્યું હતું. 

પહેલાની જાહેરાત

સરકારે બુધવારના નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સામાન્ય બચત ખાતાઓમાં જમા રાશિ પર વ્યાજ દરને 4 ટકા ઘટાડીને વાર્ષિક 3.5 ટકા કરી દેવાશે. આ સાથે જ એક વર્ષથી લઈને 5 વર્ષ માટેની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. 5 વર્ષ સુધીની રિકરિંગ ડિપોઝિટ યોજના પર વ્યાજ દર 5.8 ટકાથી ઘટાડીને 5.3 ટકા કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ પરના વ્યાજ દરને 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જ રીતે રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર પરના વ્યાજ દર પણ ઘટાડવામાં આવ્યા હતા. પીપીએફ પર મળતા વ્યાજના દરને 7.1 ટકાથી ઘટાડીને વાર્ષિક 6.4 ટકા કરી દેવામાં આવ્યો હતો. એક વર્ષ સુધીની જમા પરના વ્યાજ દરને 5.5 ટકાથી ઘટાડીને 4.4 ટકા ત્રણ મહિના માટે કરી દેવામાં આવ્યો હતો. 

જાણો હવે કેટલું વ્યાજ મળશે

સરકારની આ જાહેરાત બાદ બચત યોજનાઓ પર પહેલાની જેમ જ વ્યાજ મળશે. જે આ મુજબ છે-

* પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં 7.1 % વ્યાજ

* નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં 6.8 % વ્યાજ

* સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 % વ્યાજ

* સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં 7.4 % વ્યાજ

* કિસાન વિકાસ પત્રમાં 6.9 % વ્યાજ



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cJTb2p
via IFTTT

ટિપ્પણીઓ નથી: