યુક્રેન પર નાટોની નો ફ્લાય ઝોનની જાહેરાત, આર્થિક પ્રતિબંધો રશિયા સામે યુદ્ધ ગણાશે : પુતિન


મોસ્કો/કીવ, તા.૫
યુક્રેન વિરુદ્ધ યુદ્ધના ૧૦ દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને અમેરિકા અને યુરોપીયન દેશોને ચેતવણી આપી છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોએ રશિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધો અને નાટો સહિત કોઈ ત્રીજા દેશ દ્વારા યુક્રેન પર 'નો ફ્લાય ઝોન'ની જાહેરાત રશિયા સામે યુદ્ધ ગણાશે. આ સાથે પુતિને યુક્રેનના મોટાભાગના સૈન્ય ઠેકાણાનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. બીજીબાજુ યુક્રેનના મારિયુપોલ અને વોલ્નોવાખામાં નાગરિકોના સલામત સ્થળે સ્થળાંતર માટે છ કલાક માટે યુદ્ધ વિરામ કરવા રશિયા-યુક્રેન સંમત થયા હતા, પરંતુ રશિયાએ મિસાઈલ, તોપમારો ચાલુ રાખતાં યુદ્ધ-વિરામ નિષ્ફળ ગયો હતો.
રશિયન પ્રમુખ પુતિને શનિવારે ફરી એક વખત કહ્યું હતું કે, યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આશય રશિયન લોકોની રક્ષા કરવાનો અને તેના માટે યુક્રેનના અસૈન્યીકરણ તથા નાઝીવાદી તત્વોનો સફાયો કરવાનો છે, જેથી આ દેશ તટસ્થ રહી શકે. જોકે, ૨૪મી ફેબુ્રઆરીએ રશિયન આક્રમણની સાથે જ યુક્રેને દરેક પ્રકારના વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. હવે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ નાટોને યુક્રેનને 'નો ફ્લાય ઝોન' જાહેર કરવાની માગણી કરી છે. આ સંદર્ભમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે, પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધો અને કોઈ ત્રીજા દેશ દ્વારા યુક્રેનના આકાશને નો ફ્લાય ઝોન કરવાનો પ્રયાસ આ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે સામેલ થવા સમાન માનવામાં આવશે.
પુતિને કહ્યું કે યુક્રેન આ જ રીતે રશિયા સામે લડવાનું ચાલુ રાખશે તો તેમનો સ્વતંત્ર દેશ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લેવાશે. યુક્રેનને હથિયાર મુક્ત કર્યા વિના રશિયન હુમલા નહીં રોકાય. અમે નવ દિવસમાં યુક્રેનના મોટાભાગના સૈન્ય સ્થળોનો નાશ કરી નાંખ્યો છે. હવે શહેરોમાં નાની-નાની લડાઈ ચાલી રહી છે. રશિયન સૈન્ય નાગરિકો પર હુમલા કરવાનું ટાળી રહી છે જ્યારે યુક્રેનનું સૈન્ય અને તેની સાથે લડી રહેલા લોકો નાગરિકોને ઢાલ બનાવી રહ્યા છે. પુતિને રશિયામાં માર્શલ લો લાગુ કરવાની અટકળોને નકારી કાઢતા કહ્યું હતું કે, રશિયા પર કોઈ બહારના દેશના હુમલા અથવા આંતરિક જોખમની સ્થિતિમાં માર્શલ લો લાગુ કરવામાં આવે છે અને અત્યારે રશિયા પર એવું કોઈ જોખમ ન હોવાથી માર્શલ લોની જરૂર નથી.
દરમિયાન શનિવારે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોના સલામત સ્થળાંતર માટે મારિયુપોલ અને વોલ્નોવાખામાં ૬ કલાકના યુદ્ધ વિરામ માટે રશિયા અને યુક્રેન સંમત થયા હતા. પરંતુ યુક્રેને દાવો કર્યો હતો કે યુદ્ધ વિરામનો ભંગ કરતા રશિયાએ બંને શહેરો પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા હતા. બીજીબાજુ મોસ્કોના સૈન્ય અભિયાનોને રદ કરવાનો આદેશ આપવા માટે કીવ દ્વારા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કરાયેલી અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. આવા સમયે રશિયાની કાયદાકીય ટીમના અગ્રણી વકીલ એલન પેલેટે રાજીનામું આપી દીધું છે.
દરમિયાન યુક્રેનના સંરક્ષણ મંત્રી કર્નલ-જનરલ ઓલેકસાન્દ્ર સીર્સ્કીએ રશિયન હુમલાખોરો પર આક્રમણ કરવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, નાગરિકો અને સૈન્ય વચ્ચેનો આવો સમન્વય અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો. હવે અમે દુશ્મન સામે બચાવ કરવા નહીં, પરંતુ દુશ્મન પર આક્રમણ કરવા માટે તૈયાર છીએ. ખારકીવ નજીક યુક્રેનની આર્મ્ડ ફોર્સીસે રશિયન સૈન્ય પર વળતા હુમલા શરૂ કર્યા છે. આ યુદ્ધમાં રશિયાને પણ ભારે નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો હતો કે, છેલ્લા ૧૦ દિવસમાં રશિયાના ૧૦ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે. એટલું જ નહીં, યુક્રેનના સૈન્યે રશિયાના ૪૦ હેલિકોપ્ટર્સ, ૨૬૯ ટેન્કો, ૩૯ મિલિટ્રી પ્લેન, ૬૦ ઈંધણ ટેન્ક અને અન્ય હથિયારોનો પણ નાશ કર્યો છે. વધુમાં રશિયાની સરકારી-ખાનગી એરલાઈન એરોફ્લોટે બેલારુસ સિવાય તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1jRJKD4
via IFTTT

ટિપ્પણીઓ નથી: