ઉત્તર પ્રદેશમાં ભાજપ અને પંજાબમાં 'આપ'ની સરકાર બનશે : પોલ


ગોવામાં ત્રિશંકુ, ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કરનું અનુમાન

કેટલાક એક્ઝિટ પોલમાં પંજાબમાં ત્રિશંકુ જ્યારે ઉત્તરાખંડમાં કોંગ્રેસની જીતની શક્યતા, ચાર રાજ્યોમાં ભાજપ મોખરે

ઉ. પ્રદેશમાં ભાજપને 211થી 277 બેઠકો જ્યારે સપા ગઠબંધનને 119થી 134 બેઠકોની શક્યતાઓ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આગામી 10મી તારીખે આ ચૂંટણીના પરીણામો જાહેર થવા જઇ રહ્યા છે. તે પહેલા વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જારી કરવામાં આવ્યા હતા.

મોટા ભાગના એક્ઝિટ પોલનો દાવો છે કે ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે કોંગ્રેસની સત્તા હતી તે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાના દાવા કરાયા છે.

સીએનએન ન્યૂઝ 18, ટાઇમ્સ નાઉ, રિપબ્લિક ટીવી અને ન્યૂઝ એક્સ ચેનલ દ્વારા જારી એક્ઝિટ પોલમાં દાવો કરવાામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના સાથી પક્ષોને બહુમત મળશે. ભાજપને એક્ઝિટ પોલમાં આશરે 211થી 277 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે.

જ્યારે ભાજપને ટક્કર આપનારી સમાજવાદી પાર્ટીના ગઠબંધનને 119થી 134 જેટલી બેઠકો મળે તેવી શક્યતાઓ છે. મોટા ભાગની આ એજન્સીઓ અને ચેનલોએ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જોકે કેટલાક એક્ઝિટ પોલમાં પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઇ છે.

ન્યૂઝ 24 ટૂડેના ચાણક્ય દ્વારા પંજાબમાં આમ આદમી પાર્ટીની લહેર રહેશે તેવું અનુમાન વ્યક્ત કરાયું હતું અને આપને 100 બેઠકો મળવાનો દાવો કર્યો હતો. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને 43 અને કોંગ્રેસને 24 બેઠકો મળવાનું અનુમાન છે. ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટાર દ્વારા પંજાબમાં આપને 56થી 61 બેઠકોનુ અનુમાન વ્યક્ત કરાયું હતું.

ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ બન્ને વચ્ચે ટક્કરનું અનુમાન છે. જ્યારે એબીપી ન્યૂઝ-સીવોટરે કોંગ્રેસની જીત થશે તેવો દાવો કર્યો હતો અને કોંગ્રેસને 32થી 38 જ્યારે ભાજપને 26થી 32 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

તેવી જ રીતે ગોવામાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જ્યારે મણીપુરમાં પણ ભાજપ જીતે તેવું અનુમાન છે. હાલ આ પાંચેય રાજ્યોમાંથી ચાર પર ભાજપ સત્તામાં છે.

મોટા ભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થાય તે પહેલા વિવિધ ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જારી કરવામાં આવ્યા છે. જેમાં પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપ આગળ હોવાનો દાવો કરાયો છે. જોકે જ્યારે પણ ચૂંટણીઓ યોજાય છે ત્યારે એક્ઝિટ પોલ જારી કરવામાં આવે છે પણ અત્યાર સુધીમાં જેટલા પણ એક્ઝિટ પોલ જારી થયા તેમાં મોટા ભાગના ખોટા સાબિત થયા છે. તેથી એવી શક્યતાઓ છે કે આ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ પણ ખોટા સાબિત થઇ શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GDSMqOR
via IFTTT

ટિપ્પણીઓ નથી: