કંઝાવલા અકસ્માત : યુવતીને 12 કિ.મી. ઘસડનારા આરોપીમાં ભાજપનો નેતા

- દિલ્હીમાં રાજકારણ શરૂ : આપના નેતાઓએ એલજીનું રાજીનામું માગ્યું
- અકસ્માતની ઘટના બની એ વિસ્તારમાં જ આરોપી ભાજપના નેતાના પોસ્ટર્સ લાગ્યા હતા : વિપક્ષોનો હોબાળો, નિષ્પક્ષ તપાસની માગ
- કારે યુ-ટર્ન લગાવ્યો ત્યારે પાછળથી યુવતીનો મૃતદેહ દૂર ફંગોળાયો હતો : અકસ્માતના સીસીવીટી ફૂટેજ સામે આવ્યાં
નવી દિલ્હી : દિલ્હીના કંઝાવલામાં કાર અકસ્માત થયો તે મુદ્દે વિવાદ વધ્યો છે. યુવતીને ૧૦-૧૨ કિલોમીટર દૂર સુધી ઘસડી હોવાનો ખુલાસો થયો હતો અને તમામ પાંચેય આરોપીઓની ધરપકડ થઈ હતી. એમાં નવો ધડાકો થયો હતો એ પ્રમાણે પાંચમાંથી એક આરોપી ભાજપનો સ્થાનિક નેતા છે. એ ખુલાસા પછી આપ-કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપને ભીંસમાં લેવા દેખાવો કર્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉપરાજ્યપાલના નિવાસસ્થાનની સામે રાજીનામાની માગણી સાથે દેખાવો કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ ઘટનાનો સમગ્ર એહેવાલ આપવાનો આદેશ પોલીસ કમિશનરને કર્યો હતો. યુવતીના મૃતદેહનું સોમવારે સાંજે પોસ્ટમોર્ટમ થયું હતું. પરિવારજનોએ પોસમોર્ટમ રિપોર્ટ વિના યુવતીની અંતિમક્રિયા કરવા ઇનકાર કરી દીધો હતો.
દિલ્હીમાં ૨૩ વર્ષની યુવતી અંજલિનો હૈયું કંપાવી દેતો અકસ્માત થયો હતો. યુવતી કારની પાછળ ૧૦થી ૧૨ કિલોમીટર સુધી ઘસડાઈને મૃત્યુ પામી હતી. કારમાં પાંચ યુવાનો સવાર હતા અને કાર ઓવરસ્પીડમાં રસ્તા પર દોડતી હતી. એક વળાંક આવ્યો ત્યારે યુવતીનો મૃતદેહ કારથી અલગ થયો હતો. યુવતીના શરીરમાંથી કપડાં સુદ્ધાં ઉડી ગયા હતા. પોલીસને ઘટનાની જાણકારી મળી પછી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ઘટનાની તપાસ કરી હતી અને યુવકો નવા વર્ષની પાર્ટીમાંથી નશાની હાલતમાં હોવાના આરોપોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જે પાંચ આરોપીઓ છે એમાંથી એક ભાજપનો સ્થાનિક નેતા છે. મનોજ મિત્તલ નામનો આ ભાજપના નેતાને મંગોલપુરીનો સહ-સંયોજક બનાવ્યો હતો અને તેના પોસ્ટર્સ લાગ્યા હતા. જે સ્થળે અકસ્માત થયો ત્યાં પણ આ નેતાના પોસ્ટર્સ લાગ્યા હતા. પોસ્ટર્સમાં તેને નવી જવાબદારી બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ભાજપના નેતાની સંડોવણી છે એ સામે આવ્યું તે પછી દિલ્હીમાં રાજકારણ ગરમાયું હતું. સત્તાધારી આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉપરાજ્યપાલના નિવાસસ્થાનની સામે એકઠા થઈને દેખાવો કર્યા હતા અને રાજીનામાની માગણી કરી હતી. વિપક્ષોએ ભાજપના નેતાની સંડોવણી પછી હોબાળો મચાવ્યો હતો અને ભાજપ કેવા નેતાઓને આગળ કરે છે એ મુદ્દે આરોપો લગાવ્યા હતા. એટલું જ નહીં, ભાજપના નેતાની સંડોવણી હોવાથી ઘટનાની નિષ્પક્ષ તપાસ સામે આરોપ લગાવીને દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમ જ યોગ્ય સજા કરવાની માગણી કરી છે. વિપક્ષોએ કહ્યું હતું કે આરોપીઓના બ્લડ સેમ્પલ લઈને સત્વરે એ તપાસ કરવી જરૂરી છે કે તેમણે દારુ પીધો હતો કે નહીં. વિપક્ષના કેટલાક નેતાઓએ આ ઘટનામાં દારૂની તપાસમાં ઢાંક પિછોણો થશે એવી શંકા વ્યક્ત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઈમ ગણાવીને તેની આકરામાં આકરી સજા કરવાની માગણી કરી હતી. દિલ્હી મહિલા પંચે શહેર પોલીસને આ ઘટના બાબતે નોટિસ પાઠવી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયો હતો. એના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે એવું પોલીસના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.
રસ્તા પર કાર ચાલતી હતી તે જોનારા લોકોએ કહ્યું હતું કે કાર અમર્યાદ સ્પીડમાં દોડતી હતી. આરોપ તો ત્યાં સુધી લાગ્યા કે પોલીસે ઘટનાસ્થળે સાક્ષીના વાત સાંભળવામાં કોઈ દિલચસ્પી બતાવી ન હતી. ઘટનાને જોનારાઓનો આરોપ હતો કે આરોપીઓએ કારને અહીંથી તહીં દોડાવી હતી. ત્યાં સુધી કારમાં મૃતદેહ ફસાયેલો હતો ત્યાં સુધી કારને રસ્તા પર દોડાવતા રહ્યા. જેવી લાશ બહાર ફંગોળાઈ કે આરોપીઓ ભાગી ગયા હતા. તેનો અર્થ એ કે આરોપીઓને મૃતદેહ ફસાયાની જાણકારી હતી.
પોલીસે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે અને ઘટનાના પુરાવા એકઠાં કરવાનું પણ શરૂ કર્યું છે. પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ નશો કર્યો હતો કે નહીં તેના રિપોર્ટ આવશે એ પછી ફરિયાદમાં ફેરફાર કરાશે. આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એ દરમિયાન પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે. આરોપીઓની ડિજિટલ ફૂટપ્રિન્ટ તપાસવાનું પણ શરૂ કરાયું છે. પીડિત યુવતીના પરિવારે પોલીસ કાર્યવાહી સામે નારાજગી બતાવી હતી. રેપની તપાસ કરવાની માગણી પણ યુવતીના પરિવારે કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lxDPsoF
via IFTTT
ટિપ્પણીઓ નથી: