રાહુલે ચીનના વખાણ કરતા વિવાદનો વંટોળ

- ચીન તો શાંતિપ્રિય અને પ્રકૃતિ પ્રેમી દેશ છે: કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલનું સંબોધન
- ભારતનું લોકતંત્ર જોખમમાં, નેતાઓની જાસૂસી થાય છે: રાહુલે ઝેર ઓક્યું
- ભારતમાં સંસદ, ન્યાયતંત્ર, પ્રેસ પર નિયંત્રણ કરાયું છે, લઘુમતીઓ, દલિતો, આદિવાસીઓ પર હુમલા થઈ રહ્યા છે
- કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના અને પીએમ જન ધન યોજના સારી છે: રાહુલે બે કેન્દ્રીય યોજનાના વખાણ કર્યા
લંડન : લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ વધુ એક વખત ભાંગરો વાટયો છે. ચીને પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સોમાં અતિક્રમણ, ગલવાન ઘાટીમાં હિંસા અને ઉત્તરીય સરહદે એલએસી પર લગભગ અઢી વર્ષ કરતાં વધુ સમયથી તણાવપૂર્ણ વાતાવરણ સર્જ્યું છે. વધુમાં ચીન તાઈવાનમાં પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ ચીનની ભરપેટ પ્રશંસા કરી છે. એટલું જ નહીં રાહુલે ચીનને શાંતિનો પક્ષકાર દેશ ગણાવ્યો હતો અને તેની રણનીતિનો ઉલ્લેખ કરતાં તેણે કરેલા વિકાસની વાતો કરી હતી. આ સાથે રાહુલે પેગાસસનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર પર જાસૂસીના આક્ષેપ પણ કર્યા હતા.
કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં વિઝિટિંગ ફેલો રાહુલ ગાંધીએ મંગળવારે સાંજે 'લર્નિંગ ટુ લિસન ઈન ધ ૨૧સ્ટ સેન્ચ્યુરી' પર એક વ્યાખ્યાન આપ્યું હતું. આ સમયે ચીનની રણનીતિ અને તેના વિકાસના વખાણ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તમે ચીનમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, એરપોર્ટ જૂઓ છો તે બધું જ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ચીન મજબૂતીથી પ્રકૃતિને વળગી રહ્યું છે. બીજીબાજુ અમેરિકા પોતાને પ્રકૃતિથી મોટો માને છે. ચીન શાંતિમાં કેટલો વધુ વિશ્વાસ ધરાવે છે તે આ બાબતો પરથી સમજી શકાય છે. ચીનની સામ્યવાદી સરકારની પણ પ્રશંસા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ત્યાંની સરકાર એક કોર્પોરેશન જેમ કામ કરે છે. આ જ કારણે દરેક માહિતી પર સરકારની સંપૂર્ણ પકડ રહે છે. ચીન સાથે ભારત અને અમેરિકાની સરખામણી કરતાં રાહુલે કહ્યું કે ભારત અને અમેરિકામાં આવી સ્થિતિ નથી.
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જમ્મુ-કાશ્મીરને 'તથાકથિત હિંસક જગ્યા' ગણાવી હતી. તેમણે કહ્યું કે કાશ્મીર ઈમર્જન્સી પ્રોન સ્ટેટ છે. પુલવામામાં અમારા ૪૦ જવાનો શહીદ થયા હતા તે જગ્યાએ પણ હું ગયો હતો. આ સાથે ઈઝરાયેલના જાસૂસી ઉપકરણ પેગાસસનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતીય લોકતંત્ર જોખમમાં છે. તેમના પોતાના સહિત કેટલાક નેતાઓની જાસૂસી થઈ રહી છે. તેમના મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં આ સ્પાયવેર ઈન્સ્ટોલ કરાયું હતું. મને ગુપ્તચર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમે ફોન પર સાવચેતી રાખીને વાત કરજો, કારણ કે અમે તમારા ફોનનું રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. તેથી અમે સતત દબાણ અનુભવી રહ્યા છીએ.
ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે ભારતીય લોકતંત્ર પર પાંચ રીતે કથિત હુમલા થઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય લોકતંત્ર પર પાંચ પાસાથી હુમલો થઈ રહ્યો છે, જેમાં મીડિયા અને ન્યાયતંત્ર પર કબજો અને નિયંત્રણ કરાયા છે, કાયદાકીય એજન્સીઓ દ્વારા બળજબરી, દેખરેખ અને ધાકધમકી અપાય છે, લઘુમતીઓ, દલિતો અને આદિવાસીઓ પર હુમલા થઈ રહ્યા છે, વિરોધના અવાજોને દબાવી દેવાય છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકતંત્ર માટે બંધારણીય માળખુ જરૂરી છે, જેમાં સંસદ, ફ્રી પ્રેસ, ન્યાયતંત્રનો સમાવેશ થાય છે અને આ બધા પર હુમલા થઈ રહ્યા છે. આથી, ભારતીય લોકતંત્ર હાલ ભારે દબાણ હેઠળ છે.
દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની બે યોજનાઓ ઉજ્જવલા યોજના અને પીએમ જન ધન યોજના સારી છે. હકીકતમાં એક વિદ્યાર્થીએ સવાલ કર્યો હતો કે તેઓ કેન્દ્ર સરકારની એવી કોઈ બે નીતિઓ જણાવી શકે, જેનાથી લોકોને લાભ થયો હોય? તેના જવાબમાં રાહુલે કહ્યું કે, મહિલાઓને ગેસ સિલિન્ડર આપવા અને ગરીબોના બેન્ક ખાતા ખોલાવવા એ બે યોજનાઓ સારી છે.
રાહુલ ગાંધીના ચીનના વખાણથી વિપરિત કોંગ્રેસે ટીકા કરી
ચીનને લાલ આંખ બતાવવાના બદલે ભારતે લાલ જાજમ બીછાવી : કોંગ્રેસ
- એલએસીમાં કોઈ ઘૂસ્યું નથી તો અત્યારે વિદેશ મંત્રીઓ વચ્ચે કયા મુદ્દે ચર્ચા થાય છે : ખેરાનો સવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપતા ચીનના ભરપેટ વખાણ કર્યા છે ત્યારે ભારતમાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર જી-૨૦ બેઠકમાં ચીનના વિદેશ મંત્રીને લાલ આંખ બતાવવાના બદલે લાલ જાજમ પાથરવાનો આક્ષેપ કર્યો હતો. આમ, ચીન મુદ્દે કયું વલણ અપનાવવું તે અંગે કોંગ્રેસમાં જ અસમંજસની સ્થિતિ પ્રવર્તતી હોવાનું દેખાય છે.
કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરનાર ચીનને લાલ આંખ બતાવવાના બદલે કેન્દ્ર સરકારના મંત્રી ચીનના વિદેશ મંત્રી માટે લાલ જાજમ બીછાવી તેમનું સ્વાગત કરી રહ્યા છે. કોંગ્રેસના મીડિયા પ્રમુખ પવન ખેરાએ ચીનના વિદેશ મંત્રી ક્વિન ગાંગના ભારત પ્રવાસની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
ખેરાએ કહ્યું, વડાપ્રધાન મોદીનો ચીન માટેનો આ એકતરફી પ્રેમ છે. વાત લાલ આંખ બતાવવાની હતી, પરંતુ આપણે કાલે જોયું કે કેવી રીતે ચીનના વિદેશ મંત્રી માટે લાલ જાજમ બીછાવવામાં આવી હતી. વડાપ્રધાને આ બધું કર્યું. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે કોઈ ઘૂસ્યું નથી તો આ વાતચીત એલએસીના કયા મુદ્દા પર ચાલી રહી છે? તમે તે સમયે ખોટું બોલ્યા હતા અથવા અત્યારે તમે કંઈક છુપાવી રહ્યા છો. મોદીજી... અમને ખબર છે કે તમને ચીન પસંદ છે.
નોંધનીય છે કે પેંગોંગ ત્સો લેક અને ગલવાન વિવાદ પછી પહેલી વખત ચીનના વિદેશ મંત્રી ક્વિન ગાંગે ભારતની મુલાકાત લીધી હતી. ચીનના વિદેશ મંત્રી ક્વિન ગાંગ જી-૨૦ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા હતા. આ સમયે ભારતના વિદેશ મંત્રી જયશંકરે તેમનો હાથ મિલાવી સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ એલએસી પર પ્રવર્તતી સ્થિતિ અને બંને દેશ વચ્ચેના વણસેલા સંબંધો અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે.
રાહુલ ગાંધીના આક્ષેપો સામે ભાજપનો પલટવાર
પેગાસસ રાહુલ ગાંધીના ફોનમાં નહીં, મગજમાં છે : અનુરાગ ઠાકુર
- રાહુલે પેગાસસની તપાસ માટે સુપ્રીમ દ્વારા નિયુક્ત ટેકનિકલ સમિતિ સમક્ષ ફોન કેમ જમા ના કરાવ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમની જાસૂસી થતી હોવાનો દાવો કરીને પેગાસસનો વિવાદ ઉઠાવતા ભારતમાં ભાજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હકીકતમાં પેગાસસ તેમના ફોનમાં નહીં, તેમના મગજમાં છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધીએ ફરી એક વખત વિદેશની ધરતી પર જઈને હોબાળો મચાવવાનું અને દેશને બદનામ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ અને તેમના નેતાઓ માત્ર વિદેશી ધરતી પર દેશનું નામ બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. ગઈકાલના ચૂંટણીના પરિણામો બતાવે છે કે કોંગ્રેસનો ફરી એક વખત સફાયો થઈ ગયો છે. કોંગ્રેસ લોકોનો જનાદેશ સ્વીકાર કરી શકી નથી જ્યારે લોકોને પીએમ મોદી પર વિશ્વાસ છે.
ઠાકુરે ઉમેર્યું કે, અમે પીએમ મોદી પ્રત્યે તેમની ઈર્ષ્યા સમજી શકીએ છીએ, પરંતુ જો રાહુલ ગાંધીના ફોનમાં પેગાસસ હતો તો તેમણે આ વિવાદની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી ટેકનિકલ સમિતિમ સમક્ષ તેમનો ફોન જમા કેમ કરાવ્યો નહીં. તેમણે એ જણાવવું જોઈએ કે એવી કઈ મજબૂરી હતી કે તેમણે પોતાનો ફોન સુપ્રીમની સમિતિને પણ આપ્યો નહીં. અનુરાગ ઠાકુરે ઉમેર્યું કે રાહુલ ગાંધીએ ઈટાલીના વડાપ્રધાનને સાંભળવાની જરૂર છે, જેમણે ગઈકાલે જ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતનું સન્માન વધ્યું છે. ભારત જ નહીં વિદેશના મોટા-મોટા નેતાઓ પણ આ વાત કહી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Hi794RF
via IFTTT
ટિપ્પણીઓ નથી: