ભારતને 2047 સુધીમાં વિકસીત દેશ બનાવવાનો છે... નીતિ આયોગની બેઠકમાં બોલ્યા PM મોદી

નવી દિલ્હી, તા.27 મે-2023, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય દ્રષ્ટિકોણ તૈયાર કરવાનું આહવાન કર્યું અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું છે. PM મોદીએ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની 8મી બેઠકને સંબોધિત કરતા આ વાત જણાવી છે. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા માટે આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું છે.
નીતિ આયોગે ટ્વિટર પર જણાવ્યું કે, નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 8મી બેઠકમાં PM મોદીએ કહ્યું કે, જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે ભારતનો વિકાસ થાય છે. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરવા એક સામાન્ય દ્રષ્ટિકોણ વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. અન્ય એક ટ્વીટમાં નીતિ આયોગે કહ્યું કે, PM મોદીએ રાજ્યોને નાણાકીય રીતે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા વિનંતી કરી, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે અને નાગરિકોના સપના પૂરા કરવા માટેના કાર્યક્રમો પર આગળ વધી શકે.
ભારતને વિકસિત દેશ બનાવવા પર ચર્ચા
નીતિ આયોગની આજની બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. PM મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ તેમજ ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બિહાર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ અને દિલ્હીના મુખ્યમંત્રીઓ ગેરહાજર રહ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Wg6DCMX
via IFTTT
ટિપ્પણીઓ નથી: