VIDEO : ઉજ્જૈનના મહાકાલ લોકમાં વાવાઝોડું-વરસાદના કારણે 6 મૂર્તિઓ પડી, વૃક્ષો ધરાશાયી

ઉજ્જૈન, તા.28 મે-2023, રવિવાર

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝડપી પવન સાથે વરસાદ પડતા મહાકાલ લોકમાં 6 મૂર્તિઓ નીચે પડી ગઈ છે. બપોરના સમયે અચાનક હવામાન બદલાયા બાદ જોતજોતામાં ઝડપી પવન અને વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે મૂર્તિઓ નીચે પડી ગઈ છે.

સપ્ત ઋષિની લગભગ 6 મૂર્તિઓ વાવાઝોડામાં પડી

મળતા અહેવાલો મુજબ પવન એટલે ઝડપી હતો કે, મહાકાલ લોકમાં અનેક મૂર્તિઓ ઉખડીને જમીન પર પડી ગઈ હતી. અહેવાલો મુજબ ઝડપી પવન અને વરસાદ શરૂ થયો ત્યારે મહાકાલ લોકમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. કેટલાક ભક્તોમાં દોડધામ મચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે મહાકાલ મહાલોકમાં સપ્ત ઋષિની લગભગ 6 મૂર્તિઓ વાવાઝોડામાં પડી ગઈ છે. શહેરમાં વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. વાવાઝોડા અને વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાના કારણે ભક્તો મહાકાલ લોકના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉજ્જૈન પહોંચ્યા છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈનની મુલાકાત લેતા રહે છે. 

સરકારની ગંભીર બેદરકારી : કમલનાથ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, જ્યારે મધ્યપ્રદેશની તત્કાલીન કોંગ્રેસ સરકારે ઉજ્જૈનમાં ભવ્ય મહાકાલ મંદિર પરિસરના નિર્માણનો સંકલ્પ કર્યો હતો ત્યારે તેણે કલ્પના પણ નહોતી કરી કે, ત્યારપછીની સરકાર પણ મહાકાલ લોકના નિર્માણને લઈને ગંભીર બેદરકારી દાખવશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uYPCnvK
via IFTTT

ટિપ્પણીઓ નથી: