બંગાળની ખાડી પર સક્રિય થયું ‘મોચા’ વાવાઝોડું : IMDએ આ રાજ્યો માટે જારી કર્યું એલર્ટ

નવી દિલ્હી, તા.7 મે-2023,  રવિવાર

ભારતીય હવામાન વિભાગે આજે બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાત વાવાઝોડું બનીને દેશના પૂર્વ કિનારે ટકરાવાની સંભાવના છે. આ મોચા નામનું વાવાઝોડું 9 મેએ ડિપ્રેશન અને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વાવાઝોડા મોચાના કારણે આંધ્ર પ્રદેશમાં 3 દિવસ સુધી વરસાદ યથાવત્ રહેશે.

ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી

IMDએ 8મેથી 12મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે. IMDએ 7થી 9 મે વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના જિલ્લાઓ માટે ‘રેન વોચ’નું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પૂર્વ કિનારે અલગ-અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમા પર અલગ-અલગ સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની સંભાવના

શ્રીકાકુલમ, વિજયનગરમ, પાર્વતીપુરમ, એએસઆર, અનાકાપલ્લી, એલુરુ, ઉભયા ગોદાવરી, એનટીઆર, ગુંટુર, કૃષ્ણા, પલનાડુ, પ્રકાશમ, નેલ્લોર, તિરુપતિ, નંદયાલા, ચિત્તૂર, કડપ્પા અને અન્નમય્યાના ભાગોમાં વરસાદની સંભાવના છે. IMDએ ઓડિશાના બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, કટક અને પુરી સહિત 18 જિલ્લાઓ માટે ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે.

9 મેએ વાવાઝોડું તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા

હવામાન વિભાગે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર વાવાઝોડું ‘મોચા’ સક્રિય થયું હોવાના સંકેત આપ્યા છે. આ વાવાઝોડું આગામી સપ્તાહે આ ક્ષેત્રમાં સંભવિત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બને તે પહેલાનો સંકેત છે. IMDએ જણાવ્યું કે, 9 મેની આસપાસ આ વાવાઝોડું તોફાન સર્જી શકે છે.

માછીમારોને પાંચ દિવસનું એલર્ટ

IMDએ માછીમારોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગામી પાંચ દિવસ માટે ખરાબ હવામાનની ચેતવણી આપી છે.

પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે અસર 

આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે ના બીજા સપ્તાહમાં ચક્રવાતી વાવાઝોડાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cyDXmoz
via IFTTT

ટિપ્પણીઓ નથી: