બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ, નિયમ તોડી પોલીસ સાથે ઝપાઝપી કરનાર રાજ શેખાવતની અટકાયત

અમદાવાદ, તા.29 મે-2023, સોમવાર
બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આજથી બે દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ શેખાવત વચ્ચે ઘર્ષણ થયું છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ રાજ શેખાવત અને તેમના બાઉન્સરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજ શેખાવત મંજુરી વગર ‘ડી’ એરિયામાં બેસતા મામલો બિચક્યો
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીથી નજીક 50 મીટરનો એરીયા (ડી એરિયા) કોઈને બેસવાની મંજૂરી હોતી નથી. જોકે આ દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ડી એરિયામાં બેઠા હતા. આ દરમિયાન DCP ભગીરથસિંહ જાડેજાએ તેમને ઉભા થવાનું કહેતા રાજ શેખાવતે તેમની સાથે બોલાચાલી કરી રકઝક કરી હતી. આ દરમિયાન રાજ શેખાવત ડીસીપીને ધક્કો માર્યો હતો, જેના કારણે ભગીરથસિંહ જાડેજાના સ્ટાફ વચ્ચે મામલો બિચક્યો હતો.
રાજ શેખાવતે ઉભી પૂંછળીયે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી પાડ્યો
રાજ શેખાવત અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયા બાદ રાજ શેખાવતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તુરંત રાજ શેખાવતને ઝડપી પાડ્યો હતો અને પોલીસની ગાડીમાં બેસાડી દીધો હતો. આ ઘટના અંગે ઝોન-7 DCP ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત મંજુરી વગર ડી એરિયામાં બેઠા હતા, જેમને ઉભા થવાનું કહેતા શેખાવતે રકઝક શરૂ કરી દીધી હતી. ત્યારબાદ શેખાવતે પોલીલ સાથે ઝપાઝપી કર્યા બાદ ઉભી પૂંછળીયે ભાગવાનો પ્રયાસ કરતા તેને ઝડપી પાડ્યો હતો. મંજુરી વગર ડી એરિયામાં બેસતા હાલ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Uk07W26
via IFTTT
ટિપ્પણીઓ નથી: