છત્તીસગઢઃ બીજાપુર હુમલામાં 22 જવાન શહીદ, નક્સલીઓએ લૂંટ્યા 2 ડઝન સુરક્ષાકર્મીઓના હથિયાર


- નક્સલીઓએ 700 જવાનોને 3 દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ, 2021, રવિવાર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં શનિવારે નક્સલીઓએ 700 કરતા પણ વધારે જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. બીજાપુરના એસપીએ જણાવ્યું કે, નક્સલીઓ સાથે થયેલી આ અથડામણમાં 22 જવાન શહીદ થયા છે અને અનેક જવાન લાપતા છે. નક્સલીઓએ બે ડઝન કરતા પણ વધારે સુરક્ષાકર્મીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા છે. 

લાપતા જવાનોને શોધવા માટે રવિવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષા દળોને ઘટના સ્થળેથી 17 લાપતા જવાનોના શબ મળી આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. ગૃહ મંત્રી શાહે મુખ્યમંત્રીને ફોન કરીને તેમના પાસેથી સમગ્ર હુમલા અંગેની જાણકારી મેળવી હતી. સીએમ બઘેલ આસામમાં પ્રચાર કરવા ગયેલા છે અને રવિવાર સાંજ સુધીમાં તેઓ છત્તીસગઢ પહોંચશે. 

સુરક્ષા દળોને જોનાગુડાની પહાડીઓ પર નક્સલીઓએ ડેરો જમાવ્યો હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે બીજાપુર અને સુકમા જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના સંયુક્ત દળના નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત 2,000 જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે નક્સલીઓએ તર્રેમ વિસ્તારની જોનાગુડા પહાડી પાસે 700 જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. નક્સલીઓ જવાનોને 3 દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા હતા. આશરે 3 કલાક ચાલેલી અથડામણમાં 15 નક્સલી ઠાર મરાયા હતા. આ હુમલામાં 22 જવાન શહીદ થયા છે અને 31 કરતા પણ વધારે ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pz12qr
via IFTTT

ટિપ્પણીઓ નથી: