દેશમાં કોરોનાના રેકોર્ડ તોડ કેસ નોંધાયા, 80 ટકાથી વધુ સંક્રમિત દર્દીઓ તો આ 8 રાજ્યોમાં
નવી દિલ્હી, 4 એપ્રિલ 2021 રવિવાર
દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ છે, જે કુલ ચેપગ્રસ્ત લોકોનો 5.54 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 32 હજાર 688 એક્ટિવ કેસોમાં વધારો થયો છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ કેરળ અને પંજાબ મળીને 76.41 ટકા હિસ્સો ધરાવે છે.
દેશમાં એકલા મહારાષ્ટ્રમાં જ 58.19 ટકા એક્ટિવ કેસ છે. શનિવારે ભારતમાં કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસ આવ્યા, જેણે છેલ્લા ઘણા મહિનાઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે દેશમાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 12 કરોડ 85 હજાર 509 થઈ ગઈ છે.
દૈનિક કેસોમાં મહારાષ્ટ્ર-પંજાબ સૌથી આગળ
મહારાષ્ટ્ર અને પંજાબ દેશનાં એવા બે રાજ્યો છે જ્યાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. આ માહિતી સત્તાવાર દસ્તાવેજોથી પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કેબિનેટ સચિવની બેઠકમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે આ બંને રાજ્યોનો સમાવેશ તે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો છે, જ્યાં દૈનિક કેસોની તેમની જૂની ચરમ સંખ્યા કરતા વધારે નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ છત્તીસગઢ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
આ રાજ્યોમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી
ચિંતાની વચ્ચે રાહતનાં સમાચાર છે કે દેશનાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એવા પણ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યોમાં ઓડિશા, આસામ, પુડુચેરી, લદ્દાખ, દમણ-દીવ, દાદરા નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wzexHF
via IFTTT
ટિપ્પણીઓ નથી: