અનેક સ્થળે લોકડાઉન વચ્ચે દેશમાં 24 કલાકમાં કોરોનાના 1.45 લાખ કેસ, 794ના મોત

- દેશમાં ત્યાર સુધીમાં કુલ 9,80,75,160 લોકોએ કોરોનાની વેક્સિન લીધી
નવી દિલ્હી, તા. 10 એપ્રિલ, 2021, શનિવાર
દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન વચ્ચે કોરોનાના કેસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે થતા મૃત્યુનો આંકડો પણ વધુને વધુ ડરામણો બની રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 794 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,32,05,926 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 77,567 લોકો કોરોનાથી સાજા થયા છે અને આ સાથે જ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,19,90,859 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 794 લોકોના મૃત્યુ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મૃતકઆંક 1,68,436 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,46,631 છે અને અત્યાર સુધીમાં કુલ 9,80,75,160 લોકો વેક્સિનેટ થઈ ચુક્યા છે.
શુક્રવારે એક લાખથી વધુ કેસ
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. ગત શુક્રવારે મહામારીની શરૂઆત બાદ નવા કેસોનો સૌથી મોટો આંકડો નોંધાયો હતો. શુક્રવારે 24 કલાકમાં દેશમાં 1,31,968 નવા કેસ નોંધાયા હતા અને 780 લોકોના મોત થયા હતા. પરંતુ શનિવારે નોંધાયેલા કેસથી અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q6P47v
via IFTTT
ટિપ્પણીઓ નથી: