બંગાળ ઈલેક્શનઃ કૂચબિહારમાં મતદાન દરમિયાન હિંસા, 4 લોકોના મૃત્યુનો દાવો


- સિતાલકુચી ખાતે કેટલાક ઉપદ્રવીઓએ પેટ્રોલિંગ માટે આવેલી ક્વિક રિસ્પોન્સ ટીમ પર હુમલો કર્યો હતો

નવી દિલ્હી, તા. 10 એપ્રિલ, 2021, શનિવાર

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન વચ્ચે અનેક સ્થળે હિંસક અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કૂચબિહારના સિતાલકુચી ખાતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે લાઠીચાર્જ દ્વારા ભારે મહેનતથી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જાણવા મળ્યા મુજબ બૂથ નંબર 285માં મતદાન કેન્દ્ર બહાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને ગોળીબાર થયો હતો. પોલિંગ બૂથ બહાર ફાયરિંગ થવાના કારણે મતદાન માટે આવેલા યુવકનું મોત થયું હતું. 

આ બધા વચ્ચે બંગાળ પોલીસે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય દળોએ કરેલા ફાયરિંગમાં કૂચબિહાર ખાતે 4 લોકો મૃત્યુ પામ્યા છે. શનિવારે સવારે 10:00 કલાકે સિતાલકુચી ખાતે મતદાન ક્ષેત્રનું ચક્કર મારવા આવેલી ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) પર ઉપદ્રવીઓએ કથિત રીતે હુમલો કરી દીધો હતો. 

ઉપદ્રવીઓએ ક્યુઆરટીના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું જેથી સુરક્ષાકર્મીઓએ અનેક રાઉન્ડ ફાયર કરવા પડ્યા હતા જેમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચૂંટણી પંચે આ ઘટનાને લઈ ડીઈઓ કૂચબિહાર પાસેથી રિપોર્ટની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળા એડીજી જગમોહને પણ 4 લોકોના મૃત્યુની પૃષ્ટિ થઈ હોવાનું જણાવ્યું હતું. ગ્રામીણોએ હુમલો કર્યો તેના જવાબમાં સીઆઈએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PSeDJB
via IFTTT

ટિપ્પણીઓ નથી: