કૂચબિહારમાં હિંસા મામલે PM મોદીનું નિવેદન- ભાજપનો વિજય જોઈને બોખલાઈ ગયા દીદી અને તેમના ગુંડાઓ

- દીદી બંગાળના ભાગ્યવિધાતા નથી
- બંગાળના લોકો દીદીની જાગીર નથી
નવી દિલ્હી, તા. 10 એપ્રિલ, 2021, શનિવાર
પશ્ચિમ બંગાળમાં 5મા તબક્કાના મતદાન માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલિગુડી ખાતે એક રેલીમાં હિસ્સો લીધો હતો અને ત્યાર બાદ તેઓ કૃષ્ણાનગર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલિગુડી ખાતેની રેલીમાં ભાજપના વિજયનો દાવો કર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, નવા વર્ષમાં બુરાઈ પર સારપનો વિજય થવા જઈ રહ્યો છે. ભાજપનો વિજય થવા જઈ રહ્યો છે.
સિલિગુડી ખાતેની રેલીમાં વડાપ્રધાન મોદીએ કૂચબિહારમાં થયેલી હિંસા મામલે મમતા બેનર્જી પર નિશાન સાઘ્યું હતું. તેમણે કૂચબિહાર ખાતે થયેલી હિંસાને દુખદ ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે, ભાજપના પક્ષમાં જનસમર્થન જોઈને દીદી અને તેમના ગુંડાઓની બેચેની બેકાબૂ થઈ ગઈ છે. સાથે જે તેમણે આ પ્રકારની હિંસા દીદીને બચાવી નહીં શકે તેવો દાવો કર્યો હતો.
લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, પોતાની ખુરશી હાથમાંથી છટકી રહી છે તેથી દીદી આ સ્તરે ઉતરી આવ્યા છે. બંગાળમાં દીદી અને ટીએમસીની મનમાની નહીં ચલાવી લેવામાં આવે. હું ચૂંટણી પંચને વિનંતી કરૂ છું કે, કૂચબિહાર ખાતે જે બન્યું તેના દોષિતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે. વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જીને ઉદ્દેશીને કહ્યું કે, 'દીદી, આ હિંસા, લોકોને સુરક્ષા દળો પર આક્રમણ કરવા ઉશ્કેરવાની રીતો, ચૂંટણી પ્રક્રિયામાં રોડા નાખવાની પદ્ધતિ તમને નહીં બચાવી શકે. આ હિંસા તમારા 10 વર્ષના કુકર્મો સામે તમારૂં રક્ષણ નહીં કરી શકે.'
સિલિગુડીની જનતાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, અનેક દશકાથી બંગાળમાં જે રીતનું રાજકીય વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે તેને બદલવાનો સમય આવી ગયો છે. હવે બંગાળ તોલબાજ, સિંડિકેટ અને કટમનીથી મુક્ત થશે. બંગાળના લોકો અહીં જ રહેશે. જવું જ હશે તો સરકારમાંથી દીદીએ જવું પડશે. દીદી બંગાળના ભાગ્યવિધાતા નથી. બંગાળના લોકો દીદીની જાગીર નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dPF3E3
via IFTTT
ટિપ્પણીઓ નથી: