અમદાવાદમાં કોરોના બેકાબૂ થતા AMC દ્વારા પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરાવાઇ

અમદાવાદ, તા. 10 એપ્રિલ 2021, શનિવાર
રાજ્યમાં કોરોના વાયરસના કારણે હવે સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ તો ભયાવહ છે. જ્યાં કોરોનાનું તાંડવ ચાલી રહ્યું છે. આ સિવાય રાજ્યમાં કોરોના કેસ અને મૃત્યુઆંક સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે.
એએમસીની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં ફરીને વિવિધ જગ્યા પર પાનના ગલ્લાઓ બંધ કરાવ્યા છે. પાનના ગલ્લા સાથે ચાની લારી પણ બંધ કરાવી છે. ઉલ્લેખનીય છે કે કાલે રાજ્યના પાન ગલ્લા શોપ ઓવનર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને શનિ રવિ સ્વયંભુ બંધ રાખવાની વાત કરી હતી. આમ છતા આજે પાનના ગલ્લા બંધ થયા નહોતા, જેના કારણે એમસી દ્વારા કડક પગલા લેવાની શરુઆત કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ થતા એમસી દ્વારા હવે કડક પગલા લેવાની શરુઆત કરવામાં આવી છે. જો કે એએમસી દ્વારા બંધ કરેલા પાનના ગલ્લા ક્યાં સુધી બંધ રહેશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો બંધ કરાયેલા ગલ્લા ફરી ખુલશે તો તેમની સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા શનિવાર અને રવિવાર બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uGawzi
via IFTTT
ટિપ્પણીઓ નથી: