BJP ચૂંટણી જીતવાનું મશીન નથી, લોકોના દિલ જીતવાનું અભિયાનઃ પાર્ટીના 41મા સ્થાપના દિવસે PM


- શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીને કર્યા યાદ

નવી દિલ્હી, તા. 6 એપ્રિલ, 2021, મંગળવાર

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટી મંગળવારે, 6 એપ્રિલના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ભાજપ ફક્ત એક ચૂંટણી જીતવાનું મશીન જ નથી, અમને દરેક સંપ્રદાયનું સમર્થન મળી રહ્યું છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે મંગળવારે એક મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, 'ભાજપના 41 વર્ષ આ વાતના સાક્ષી છે કે, સેવા કેવી રીતે કરવામાં આવે છે, પાર્ટી કેવી રીતે કાર્યકરોના દમ પર આગળ આવે છે. આજે દેશના દરેક રાજ્ય, જિલ્લામાં પાર્ટી માટે અનેક પેઢીઓએ કામ કર્યું છે.'

દિગ્ગજોને સલામી આપી

વડાપ્રધાને કહ્યું કે, 'શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને અટલ બિહારી વાજપેયીએ ભાજપને રસ્તો ચીંધ્યો, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓએ ભાજપને આગળ વધારી છે. અમારા ત્યાં વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ છે. એક સમય હતો જ્યારે અટલજીએ એક મતથી સરકાર પડવા દીધી, પરંતુ નિયમો સાથે સમજૂતી ન કરી.'

વધુમાં કહ્યું કે, 'દેશમાં રાજકીય સ્વાર્થ માટે દિલ તૂટ્યા છે પરંતુ ભાજપમાં કદી આવું નથી બન્યું. ઈમરજન્સી વખતે ભાજપના અનેક નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ સેવા કરી, કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારી રહી છે. 

અંતિમ વ્યક્તિ સુધી લાભ પહોંચાડ્યો

વડાપ્રધાને કહ્યું કે, 'અમારી પાર્ટી મહાત્મા ગાંધીના વિચાર લાગુ કરવા પર્યત્ન કરી રહી છે અને છેવાડાના વ્યક્તિ સુધી યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. અમે કોઈના પાસેથી કશું છીનવતા નથી પરંતુ બીજા લોકોને તેમનો હક અપાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમારી પાર્ટી નાના ખેડૂતોને લાભ પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે. નવા કૃષિ કાયદાથી લઈને અન્ય અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ભાજપ ત્રિપલ તલાકનો અંત લાવ્યું, ઘરની રજિસ્ટ્રીમાં મહિલાઓને પ્રાથમિકતા આપી.'

કાર્યક્રમ દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ હવે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે જે સેવાના રસ્તે ચાલી રહી છે તેમ કહ્યું હતું.  ઉપરાંત કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ લાખો લોકોની સેવા કરી હોવાનું જણાવ્યું હતું. 

ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી

વડાપ્રધાને કહ્યું કે, જો ભાજપ ચૂંટણી જીતે તો તેને ચૂંટણી જીતવાનું મશીન કહેવામાં આવે છે. જો બીજી કોઈ પાર્ટી ચૂંટણી જીતે તો તેની વાહવાહી કરવામાં આવે છે. જો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહેવામાં આવે છે તો તે લોકો લોકશાહીની પરિપક્વતા નથી સમજી શક્યા. આવા લોકો ભારતના લોકોની આશા નથી વાંચી શક્યા. અમે સરકારમાં હોઈએ કે વિપક્ષમાં, હંમેશા જનતા સાથે જોડાયેલા રહ્યા છીએ. ભાજપના કાર્યકરોની મોટી સંખ્યા એવી છે જે જમીન પર રહીને કામ કરે છે પરંતુ ફ્રંટ પર નથી દેખાતા. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, ભાજપનો મતલબ દેશહિત છે, ભાજપનો મતલબ યોગ્યતાને અવસર છે, ભાજપનો મતલબ વંશવાદ, પરિવારવાદના રાજકારણથી મુક્તિ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sXKR4K
via IFTTT

ટિપ્પણીઓ નથી: