અખિલેશ યાદવને કોરોના પ્રોટોકોલ લાગુ નથી પડતો? કોરોના સંક્રમિત મહંત નરેન્દ્ર ગિરિની લીધી મુલાકાત


- અખિલેશ યાદવે પોતે જ ટ્વીટ કરીને મહંતની મુલાકાત લીધી હોવાના સમાચારની પૃષ્ટિ કરી

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ, 2021, સોમવાર

કોરોનાને લઈ એક ભારે મોટી બેદરકારી સામે આવી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રવિવારે હરિદ્વારમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી. અખિલેશ યાદવે મહંતનું હાર પહેરાવીને અને શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. 

અખિલેશ યાદવ અને મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત દરમિયાન અન્ય કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા. તે પૈકીના બે લોકોએ તો માસ્ક પણ નહોતું પહેરેલું. ઉલ્લેખનીય છે કે, મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમને આશ્રમમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

વાત આટલેથી જ નથી અટકતી, અખિલેશ યાદવે પોતે જ ટ્વીટ કરીને તેમણે મહંત નરેન્દ્ર ગિરિ મહારાજને મળીને તેમના આશીર્વાદ લીધા છે તેવી પૃષ્ટિ કરી છે. આ સંજોગોમાં અખિલેશ યાદવની મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ સાથેની મુલાકાત અનેક સવાલો સર્જી રહી છે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે. તે સમયે અન્ય કોઈ વ્યક્તિ તેને ન મળી શકે. જો કોઈ વ્યક્તિ વસ્તુ આપવા જાય તો પણ તે બહાર દરવાજે મુકી દેવાની હોય છે જેથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન અવાય. 

કોવિડ પ્રોટોકોલ પ્રમાણે સામાન્ય જગ્યાઓએ પણ માસ્ક ફરજિયાત છે ત્યારે જે બે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું તે સીધા કાયદાને જ પડકારી રહ્યા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ આવું કૃત્ય કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે પરંતુ રાજકીય વ્યક્તિઓ માટે નિયમો બદલાઈ જતા હોવાનું જણાય છે. સામાન્ય લોકો પોતાના પરિવારજનની અંતિમ વિધિમાં પણ સામેલ નથી થઈ શકતા અને અખિલેશ યાદવ જેવા નેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોમાં બીમારી અંગે ખોટો મેસેજ આપવાનો પણ ગુનો કરી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g0XTL5
via IFTTT

ટિપ્પણીઓ નથી: