હાઈકોર્ટે આપી લાલુ યાદવને રાહતઃ દુમકા કેસમાં મળ્યા જામીન, જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ

- 1-1 લાખના 2 સિક્યોરિટી બોન્ડ તથા આઈપીસી અને પીસી એક્ટ અંતર્ગત 5-5 લાખનો દંડ ભર્યા બાદ જેલમાંથી બહાર આવી શકશે
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ, 2021, શનિવાર
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને દુમકા ટ્રેઝરીમાંથી 3.13 કરોડ રૂપિયા ઉપાડવાના કેસમાં જામીન આપી દીધા છે. હાલ તેઓ ચારા કૌભાંડ મામલે સજા કાપી રહ્યા છે. ચારા કૌભાંડ સાથે સંબંધિત અન્ય કેસમાં તેમને પહેલેથી જામીન મળી ચુક્યા છે.
ચાઈબાસા અને દેવઘર ટ્રેઝરી કેસમાં લાલુ યાદવને પહેલેથી જામીન મળેલા છે. દોરાંડા ટ્રેઝરી કેસ મામલે હાલ ટ્રાયલ ચાલુ છે. હવે લાલુ યાદવ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લાલુ યાદવને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેઓ અડધી સજા પૂરી કરી ચુક્યા છે અને ત્યાર બાદ તેમને જામીન આપવામાં આવ્યા છે.
જસ્ટિસ અપ્રેશ સિંહે જણાવ્યું કે, લાલુ યાદવ 42 મહિના અને 11 દિવસ જેલમાં રહ્યા છે. આ અડધી સજા કરતા વધારે સમય છે. તેઓ 1-1 લાખના 2 સિક્યોરિટી બોન્ડ તથા આઈપીસી અને પીસી એક્ટ અંતર્ગત 5-5 લાખનો દંડ ભર્યા બાદ જેલમાંથી બહાર આવી શકશે.
લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપે ટ્વીટમાં લખ્યું હતું કે, 'ગરીબો, વંચિતો, પછાતોના નેતા આવી રહ્યા છે. અન્યાય કરનારાઓને કહી દો અમારા નેતા આવી રહ્યા છે.'
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dqpYJV
via IFTTT
ટિપ્પણીઓ નથી: