ભાજપ યુપીમાં કરશે સ્થાપના દિવસની ઉજવણી, કાર્યકરો લગાવશે પાર્ટીનો ઝંડો

- વડાપ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડિજિટલ માધ્યમથી કાર્યકરોને સંબોધશે
નવી દિલ્હી, તા. 6 એપ્રિલ, 2021, મંગળવાર
ભારતીય જનતા પાર્ટી મંગળવારે એટલે કે, 6 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશમાં સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ડિજિટલ માધ્યમથી કાર્યકરોને સંબોધિત કરશે. 6 એપ્રિલ, 1980ના રોજ ભાજપની સ્થાપના થઈ હતી. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો પોત-પોતાના ઘરે પાર્ટીનો ઝંડો લગાવશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યાલયો ખાતે એલઈડી સ્ક્રીનના માધ્યમથી કાર્યકરો વડાપ્રધાનનો મેસેજ સાંભળશે.
ઉત્તર પ્રદેશમાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય સહિત તમામ ક્ષેત્રીય, જિલ્લા અને મહાનગર કાર્યાલયો ખાતે સ્થાપના દિવસનો કાર્યક્રમ ઉજવાશે. યુપીના કાર્યકરો ડિજિટલ માધ્યમથી વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું સંબોધન સાંભળી શકશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્મા, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ પણ ભાજપના મુખ્યાલય ખાતે ઉપસ્થિત રહેશે.
ભાજપના પદાધિકારીઓ સ્થાપના દિવસ નિમિત્તે 6 એપ્રિલના રોજ બૂથ સમિતિની બેઠક પણ યોજશે. મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો યુપીના વિવિધ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોમાં સહભાગી બનશે. ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલૂનીના કહેવા પ્રમાણે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટીના કાર્યકરો દેશભરના તમામ મતદાન કેન્દ્રો ખાતે પાર્ટીના દર્શન, સંસ્કૃતિ અને નીતિઓ અંગેનો સંવાદ સત્ર યોજશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RcbC7p
via IFTTT
ટિપ્પણીઓ નથી: