ઓપરેશન ગંગા : ત્રણ દિવસમાં ૨૬ ફ્લાઈટ્સમાં ભારતીયોને સ્વદેશ લવાશે


નવી દિલ્હી, તા.૧
યુક્રેનમાં રશિયાનું આક્રમણ વધુ ઘાતક બની રહ્યું છે ત્યારે ભારતે યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા  માટે 'ઓપરેશન ગંગા' અભિયાનને વધુ ઝડપી બનાવતા એરફોર્સને પણ સામેલ કરી છે. આ મિશનમાં દેશની ખાનગી એરલાઈન્સ પણ જોડાઈ છે. કેન્દ્ર આગામી ત્રણ દિવસમાં ૨૬ ફ્લાઈટ્સ મારફત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવશે. મંગળવારે ૬૧૬ ભારતીયોને પરત લવાયા હતા. બીજીબાજુ વિદેશ સચીવે મંગળવારે મોડી રાત્રે કહ્યું હતું કે કીવમાંથી બધા જ ભારતીયો બહાર નીકળી ગયા છે.
યુક્રેનમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે ત્યારે સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વધુ એક વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેનમાં મંગળવારે રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થવા અંગે વડાપ્રધાન મોદીએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને લાવવા માટે ભારતીય હવાઈદળને ઉતારવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન ગંગાના ચોથા દિવસે મંગળવારે યુક્રેનના પશ્ચિમી પડોશી દેશો રોમાનિયા અને હંગેરીમાંથી ૬૧૬ ભારતીયોને પરત લવાયા હતા.ખાનગી એરલાઈન્સ અત્યાર સુધીમાં નવ વિશેષ ફ્લાઈટ્સમાં ૨,૦૧૨ ભારતીયોને પરત લાવી છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, ભારતીય એરફોર્સનું સી-૧૭ વિમાન બુધવારે વહેલી સવારે ૪.૦૦ વાગ્યે દેશવાસીઓને લાવવા માટે રોમાનિયા રવાના થશે તેવી શક્યતા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પશ્ચિમી સરહદ ઓળંગીને રોમાનિયા પહોંચે પછી રોમાનિયા અને હંગેરીમાંથી ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
વધુમાં ભારતીયોને લાવવા માટે પોલેન્ડમાં બુચારેસ્ટ અને બુડાપેસ્ટ તેમજ સ્લોવાક રિપબ્લિકમાંથી પણ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી ત્રણ દિવસમાં ૨૬ જેટલી ફ્લાઈટ્સ મારફત ભારતીયોને પરત લવાશે.
દરમિયાન યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં અટવાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે કેન્દ્ર સરકારના ઓપરેશન ગંગા મિશનમાં એરઈન્ડિયા એક્સપ્રેસની સાથે ખાનગી એરલાઈન્સ ઈન્ડિગો અને સ્પાઈસજેટ પણ જોડાઈ હતી. અગાઉ સરકારે મંગળવારે સવારે કીવમાંથી બધા જ ભારતીયોને કોઈપણ રીતે યુક્રેનની પશ્ચિમી સરહદે પહોંચવા નિર્દેશ આપ્યા હતા.
દરમિયાન મંગળવારે ભારત પરત ફરેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના સૈન્યે ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, ભારતીય દૂતાવાસ ઘણું જ સક્રીય છે. વિદ્યાર્થીઓને પાછા લાવવામાં તેમણે ઘણી જ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે રોમાનિયાની સરહદે સ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ સ્વદેશ પહોંચવા ભારતીય દૂતાવાસે ઘણી મદદ કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનની તરફેણમાં મતદાન કર્યું ન હોવાથી યુક્રેનવાસીઓમાં ભારતના વિરોધમાં આક્રોશ હોવાનું માનવામાં આવે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UGVS4fd
via IFTTT

ટિપ્પણીઓ નથી: