રશિયાના રોકેટમારો : એક ભારતીય, યુક્રેનના ૭૦ સૈનિકોનાં મોત


કીવ, તા.૧
દુનિયાભરના દેશોના આર્થિક પ્રતિબંધો વચ્ચે યુક્રેન સાથે પહેલા તબક્કાની મંત્રણાનું કોઈ પરિણામ નહીં આવતાં રશિયન પ્રમુખ પુતિન વધુ આક્રમક બન્યા છે. રશિયાના ૨૧મી સદીના વર્લ્ડ ઓર્ડરને હચમચાવી દેનારા આક્રમણના છઠ્ઠા દિવસે મંગળવારે રશિયન સૈન્યે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવના સેન્ટ્રલ સ્ક્વેર અને અન્ય રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા હુમલા વધાર્યા છે. આ હુમલામાં મંગળવારે એક ભારતીયનું મોત થયું હતું.
રહેણાંક ઈમારતો પર હુમલો રશિયાનો સરકારી આતંકવાદ : ઝેલેન્સ્કી
યુક્રેનમાં ૧૫ લાખથી વધુની વસતી ધરાવતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પૂર્વીય શહેર ખારકીવમાં રશિયન સૈન્યે મિસાઈલ હુમલાથી સોવિયેત યુગની વહીવટી ઈમારત અને રહેણાંક વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ખારકીવના સેન્ટ્રલ સ્ક્વેર પરના હુમલાને રશિયન ફેડરેશનનો સરકારી આતંકવાદ ગણાવ્યો હતો અને કહ્યું કે, કોઈ આ હુમલા ભૂલશે નહીં અને કોઈને માફ નહીં કરાય.
ખારકીવમાં ભારે મિસાઈલ, રોકેટ હુમલો : કીવને ઘેરવા આગેકૂચ
યુક્રેનના શહેરો પર આક્રમણ વધુ ઘાતક બનાવતાં મોસ્કોએ ત્રણ શહેરી વિસ્તારો પર ક્લસ્ટર બોમ્બ ફેંક્યા હોવાના અહેવાલ છે. આ અહેવાલોને પુષ્ટી મળશે તો યુદ્ધમાં રશિયાની ક્રૂરતા નવા તળીયે પહોંચી હોવાનંવ મનાય છે. બીજીબાજુ ખારકીવમાં ભારે મિસાઈલ, રોકેટ હુમલા વચ્ચે રશિયાનું જંગી સૈન્ય કીવ તરફ આગળ વધી રહ્યું છે. સેટેલાઈટ તસવીરો મુજબ ટેન્કો અને અન્ય લશ્કરી વાહનો સાથે રશિયન સૈન્યનો ૬૪ કિ.મી. લાંબો કાફલો કીવને ઘેરવા આગળ વધી રહ્યો છે.
યુક્રેનને યુરોપીયન સંઘમાં જોડવા ઝેલેન્સ્કીની અરજી મંજૂર
રશિયન હુમલા વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી યુરોપીયન સંઘનું સભ્યપદ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મંગળવારે કીવથી યુરોપીયન સંસદને સંબોધન કરતાં જબરજસ્ત ભાષણ આપ્યું છે. ઝેલેન્સ્કીએ યુરોપીયન સંઘને તાત્કાલિક યુક્રેનને સભ્યપદ આપવાની માગણી કરતાં કહ્યું કે અમે અમારી ભૂમિ અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ. અમારા શહેરો પર હુમલા થઈ રહ્યા છે, તેમ છતાં કોઈ અમને તોડી નહીં શકે, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ. અમે અસ્તિત્વ માટે લડી રહ્યા છીએ અને અમે તેની કિંમત ચૂકવી છે. આ હુમલામાં ૧૬ બાળકોના મોત નીપજ્યાં છે. અંતે તેમણે કહ્યું આ યુદ્ધ લોકોનું છે તેમાં કોઈ શંકા નથી. જીત માટે યુક્રેનનો જય. ઝેલેન્સ્કીના ભાષણ પછી યુરોપીયન સંસદે મંગળવારે યુરોપીયન સંઘમાં યુક્રેનના સમાવેશને મંજૂરી આપી દીધી છે. હવે પ્રવેશ માટેની વિશેષ પ્રક્રિયા શરૂ કરાશે.
યુક્રેનના સૈન્યનો સામનો કરવામાં રશિયા નિષ્ફળ ગયું : સંરક્ષણ મંત્રી
ખારકીવ અને કીવ વચ્ચે આવેલા ઓખતિર્કા શહેરના બેઝ પર રશિયન રોકેટ હુમલામાં ૭૦ સૈનિકો માર્યા ગયા હતા. આ સાથે યુક્રેનના  સૈનિકોના મૃત્યુઆંકમાં વધારો થયો હતો. જોકે, તેનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી.  ખારકીવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. કર્ણાટક નિવાસી નવીન ખારકીવમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. યુક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેક્સી રેઝનિકોવે જણાવ્યું હતું કે, શહેરો અને નાગરિકો પર બર્બરિક રોકેટ હુમલો એ બાબતનો પુરાવો છે કે રશિયન સૈન્ય હવે યુક્રેનના સૈન્યનો સામનો કરવા સક્ષમ નથી. તેથી તેઓ શહેરી વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે.
રશિયાના ૫,૭૧૦ સૈનિકો, ૨૯ વિમાનો, ૧૯૮ ટેન્કોનો નાશ
યુક્રેનના વિદેશ મંત્રી ડીમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયન સૈન્યે ૧૮૦થી વધુ ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલ છોડયા છે. રશિયાના ૫,૭૧૦ સૈનિકો માર્યા ગયા છે. યુક્રેને ૨૯ વિમાનો, ૨૯ હેલિકોપ્ટર્સ, છ ડ્રોન તોડી પાડયા છે અને ૧૯૮ ટેન્કો તથા ૮૬૧ આર્મર્ડ વ્હિકલ્સ, ૨૯૧ ટ્રક અને જીપ, ૮૦ ફ્યુઅલ ટ્રકો, છ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમનો નાશ કર્યો છે. જોકે, યુક્રેનના આ દાવાઓની સ્વતંત્રરૂપે પુષ્ટી કરવી શક્ય નથી. રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે શાંતિમંત્રણા કોઈપણ પરિણામ વિના પડી ભાંગી હતી. જોકે, બંને પક્ષો ૩જી માર્ચે વધુ એક વખત ચર્ચા માટે તૈયાર થયા છે.
ખાનગી ક્ષેત્રનો પણ વિરોધ, રશિયામાંથી રોકાણ પાછા ખેંચ્યા
પશ્ચિમી દેશો યુક્રેનને શસ્ત્રો પહોંચાડી રહ્યા છે અને રશિયન અર્થતંત્ર પર ગાળીયો કસી રહ્યા છે ત્યારે હવે ખાનગી ક્ષેત્રો પણ રશિયાના વિરોધમાં આગળ આવ્યા છે. અનેક કંપનીઓએ રશિયામાંથી રોકાણો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ઓઈલ કંપનીઓ શેલ, બીપી અને નોર્વેની ઈક્વાનોરે રશિયામાંથી એક્ઝિટ કરશે. કેનેડાએ રશિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અગ્રણી બેન્કો, એરલાઈન્સ અને ઓટો ઉત્પાદકોએ પણ રશિયન કંપનીઓ સાથેની ભાગીદારીઓ તોડી છે. શિપમેન્ટ્સ અટકાવ્યા છે. દુનિયાના ત્રણ મોટા સ્ટુડિયો સોની, ડિઝની અને વોર્નર બ્રધર્સે પણ રશિયામાં આગામી ફિલ્મો રિલિઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
રશિયાની પ્રતિબંધિત કંપનીઓ સાથે કામકાજ નહીં કરીએ : એસબીઆઈ
રશિયા પર પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોને પગલે ભારતની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ પ્રતિબંધ મૂકાયો હોય તેવી રશિયન કંપનીઓ, ખાતેદારો, બેન્કોના ટ્રાન્ઝેક્શન્સ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ તેના ખાતેદારોને પણ રશિયામાં હિતો ધરાવતી કંપનીઓ સાથે વ્યવહાર કરવામાં સાવચેતી રાખવા જણાવ્યું છે. વીમાના જોખમને ધ્યાનમાં રાખી આઈઓસીએ પણ રશિયાના ક્રૂડના કાર્ગો નહીં સ્વીકારવા નિર્ણય કર્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TfnGkAs
via IFTTT

ટિપ્પણીઓ નથી: