મહારાષ્ટ્રમાં લોકડાઉનની તૈયારી : ગુજરાતમાં લોકડાઉન નહીં


ભારતમાં રેકોર્ડબ્રેક દૈનિક 1.45 લાખ કેસ, મહારાષ્ટ્રમાં 58 હજાર કેસ

દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોન જેવા પ્રતિબંધો લદાશે : દેશભરમાં 1.32 કરોડ કેસો, 24 કલાકમાં વધુ 794 લોકોના મોત, એક્ટિવ કેસો 10 લાખને પાર પહોંચ્યા

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ સહિત અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધો

મુંબઈ/અમદાવાદ : મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને રોકવા માટે કડક લોકડાઉનની આવશ્યક્તા છે એવું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વ રાજકીય પક્ષની બેઠકમાં વ્યક્ત કરી હતી. હવે બે દિવસમાં રાજ્યની પરિસ્થિતિનો અંદાજ કાઢીને કડક પ્રતિબંધો અથવા આઠ અથવા 14 દિવસના લોકડાઉન બાબતેનો નિર્ણય જાહેર કરાશે એમ મુખ્ય પ્રધાન  ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં હાલ કોઈ લોકડાઉનની વિચારણા નથી. મુખ્યમંત્રીએ કહ્યું હતું 

કે રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે સરકાર કોરોનાને કારણે થતાં મૃત્યુના આંકડાઓ છુપાવતી નથી. કોરોનાને કારણે થતાં મૃત્યુની ગણતરીમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કોમોર્બિડ દર્દીના મૃત્યુના પ્રાઈમરી અને સેકન્ડરી કારણો જોઈને તેમનું મૃત્યુ કોરોનાથી થયું કે કેમ તે નક્કી કરવામાં આવે છે. 

દેશમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 1.45 લાખ કેસો સામે આવ્યા હતા જેને પગલે તંત્ર દોડતુ થઇ ગયું છે. માત્ર દિલ્હીમાં જ દૈનિક 8500 નવા કેસો સામે આવ્યા છે, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં 58 હજાર કેસો નોંધાયા છે. ગુજરાત સહિતના 10 રાજ્યોમાં દેશના કુલ કેસોના 82.82 ટકા કેસો નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહથી દૈનિક કેસો લાખની આસપાસ આવવા લાગ્યા છે. 

કોરોનાના વકરી રહેલા સંજોગોમાં પણ ગુજરાત સરકાર સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી નથી એવો નિર્દેશ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો હતો, બીજી તરફ કોરોનાના દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું વહેલું ડિટેક્ટ કરી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે વિજય રૂપાણીએ આજે 20 નવા ધન્વન્તરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું હતું. બીજું ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન દેશના કોઈપણ રાજ્ય પાસે ઉપલબ્ધ ન હોય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યની કોરોનાની પરિસ્થિતિ નિહાળતા જનતા તથા તમામ રાજકીય પક્ષોએ સહકાર આપવા મુખ્ય પ્રધાને અપીલ કરી હતી. રાજ્યના નિષ્ણાત ડોક્ટરોના મત મુજબ 14 દિવસનું લોકડાઉનની ગરજ છે. જ્યારે મુખ્ય પ્રધાન માત્ર આઠ દિવસના લોકડાઉન મૂકવા પર વિચારી રહ્યા છે. આઠ દિવસ બાદ ધીમે-ધીમે લોકડાઉનને શિથિલ કરાશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,45,384 કેસો સામે આવતા કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 1.32 કરોડે પહોંચી ગઇ છે. જ્યારે એક જ દિવસમાં વધુ 794 લોકોના મોત નિપજ્યા હતા અને દેશમાં એક્વિસ કેસો હવે 10 લાખને પાર કરી ગયા છે.

છ મહિના પછી આંકડો 10 લાખે પહોંચ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા હોવાથી ેહાલ અનેક રાજ્યોમાં લોકડાઉનની તૈયારી ચાલી રહી છે. જ્યારે કેટલાક રાજ્યોએ લાગુ પણ કરી દીધુ છે. 

મધ્ય પ્રદેશમાં 10 જેટલા શહેરોમાં લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે ઇંદોર સહિતના શહેરોમાં લોકડાઉન અગાઉ લાગુ કરાયું હતું તેનો સમયગાળો હવે 19મી એપ્રીલ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. જોકે દિલ્હીમાં હાલ કોઇ લોકડાઉન જાહેર નહી કરાય તેવી સ્પષ્ટતા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી.

સાથે કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે અગાઉ નવેમ્બર મહિનામાં જે રીતે કંટેનમેન્ટ ઝોન બનાવાય હતા તેવી વ્યવસૃથા હાલ દિલ્હીમાં ફરી ઉભી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12787 કેસો સામે આવ્યા હતા અને 48 લોકોના મોત નિપજ્યા હતા. 

જેને પગલે અત્યાર સુધી 19 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયો છે. લગ્ન સમારોહ માટે પણ અલગથી ગાઇડલાઇન અમલ કરાવાઇ રહી છે. તેવી જ રીતે કર્ણાટકમાં 10થી 20 તારીખ સુધી રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયો છે. આ કરફ્યૂ રાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી મોટા શહેરોમાં લાગુ રહેશે.

મિઝોરમમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા હોવાથી ધોરણ આઠના વર્ગોને બંધ કરી દેવા પડયા છે. હાલ ભારતમાં કોરોના વધી રહ્યો હોવાનું એક કારણ પહેલી લહેર બાદ કોરોના કેસો ઘટયા તે બાદ લોકોએ માસ્ક વગેરે પહેરવાનું ઓછુ કરી દીધુ હતું અને ગાઇડલાઇનનું પાલન નહોતુ થઇ રહ્યું જેને કારણે ફરી વાઇરસ ફેલાઇ રહ્યો હોવાનો દાવો વૈજ્ઞાાનિકોએ કર્યો હતો. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ZQlED
via IFTTT

ટિપ્પણીઓ નથી: