નાગપુરની હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાનાં ચાર દર્દીનાં મોત

એક કન્ડિશનરમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગી હોવાની શંકા
ભાંડુપમાં ગત મહિને હોસ્પિટલમાં લાગેલી આગમાં 11 દર્દીને કાળભરખી ગયો હતો
મુંબઇ : મહારાષ્ટ્રના નાગપુરની હોસ્પિટલમાં ગઇકાલે રાતે આગ લાગતા કોરોનાની ચાર દર્દી મોતના મુખમાં ધકેલાય ગયા હતા. હોસ્પિટલમાં દાખલ અન્ય 27 દર્દીને બચાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
ગત મહિને ભાંડુપ (પશ્ચિમ) એલ.બી.એસ. રોડ પર ડ્રિમ્સ મૉલમાં સનરાઇઝ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગમાં કોરોનાના 11 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. જોકે બે દર્દી કોરોનાથી અગાઉ મૃત્યુ પામ્યા હતા. તેમના મૃતદેહ સોમવાની કાર્યવાહી પૂરી ન થતા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. હોસ્પિટલ દ્વારા જરૂરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાનો આરોપ થયો હતો.
વાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે નાગપુર-અમરાવતી રોડ પર વાડી પરિસરમાં વેલટ્રિટ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દી દાખલ હતા. હોસ્પિટલના આઇસીયુમાં ગઇકાલે રાતે અંદાજે આઠ વાગ્યે આગ લાગી હતી.
એરકન્ડિશનરમાં આગ લાગ્યા બાદ પ્રસરી ગઇ હોવાની શંકા છે. કોરોનાની સારવાર લઇ રહેલા તુલસીરામ પારઘી (ઉ.વ.47) શિવશક્તિ સોનભદ્રે (ઉ.વ.35), પ્રકાશ બોડે (ઉ.વ.69), મહિલા દર્દી રંજના કડુ (ઉ.વ.44)નું મોત થયું હતું. ફાયરબ્રિગેડે રાતે જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
અગ્નિશામક દળના જવાનો અને હોસ્પિટલના કર્મચારીની મદદથી અન્ય દર્દીઓની બહાર કાઢવામાં આવ્યા હતા. આગમાં ધુમાડાને લીધે દર્દીની તબીયત વધુ બગડી ગઇ હતી. દર્દીને બચાવતી વખતે એખ ડૉકટર અને કર્મચારી જખમી થયા હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર પ્રધાન નિતીન ગડકરીએ મૃતક માટે શોકની લાગણી કરી હતી.
વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભ્ય સમીર મેઘેએ દર્દીઓને મદદ કરવાની સૂચના આપી હતી. મંત્રી સુનીલ કેદારે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અગાઉ લોકડાઉન દરમિયાન ભંડારાની હોસ્પિટલની આગ 10 નવજાત શિશુને ભરખી ગઇ હતી. મહારાષ્ટ્રમાં તમામ હોસ્પિટલની આગ સામે સલામતીની તપાસને આદેશ આપવામાં આવ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wJlm9x
via IFTTT
ટિપ્પણીઓ નથી: