જંત્રીમાં વધારા બાદ પ્રજાને વધુ એક ઝટકો હવે હોમ સહિતની લોન પણ મોંઘી થશે

- આરબીઆઈએ રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કર્યો
- આગામી નાણાકીય વર્ષમાં પણ ફુગાવો ચાર ટકાથી વધુ રહેશે : જીડીપી 2022-23માં ટકા 7 ટકા, 2023-24માં 6.૪ ટકા રહેવાનો અંદાજ
મુંબઇ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં અપેક્ષા પ્રમાણે ૨૫ બેઝિસ પોઇન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫૦ ટકા કર્યો છે. ફુગાવો મંદ પડવાનું શરૂ થતાં અગાઉની સરખામણીએ રેપો રેટમાં વધારો કરવાની માત્રા ધીમી પડી છે. રેપો રેટમાં વધારો કરાતા હોમ, ઓટો સહિતની રિટેલ લોન્સ મોંઘી થશે. લોન્સધારકોના ઈએમઆઈમાં પણ વધારો થશે.
ફુગાવો ઘટી રહ્યો છે, પરંતુ હજુ પણ તે પ્રમાણમાં ઊંચો હોવાથી રેપો રેટ વધારવામાં આવ્યો હોવાનું આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં પણ એમપીસીએ વધારો કર્યો છે અને આગામી નાણાકીય વર્ષમાં ફુગાવો ઘટવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
રેપો રેટ વધતા હોમ સહિતની રિટેલ લોન્સના દરમાં વધારો થવાની પણ શકયતા છે. ફુગાવાનું પ્રમાણ ઊંચુ રહેવાની ધારણાંને જોતા આગળ જતા વ્યાજ દરમાં વધારો ચાલુ રહેવાના સંકેત મળી રહ્યા છે.
સોમવારથી અહીં શરૂ થયેલી એમપીસીની ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટ વધારો કરાયો હતો. ૨૦૨૨માં સતત પાંચ વખત વ્યાજ દર વધાર્યા બાદ એમપીસીએ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરવા નિર્ણય કર્યો છે. એમપીસીના ૬ સભ્યમાંથી ૪ સભ્યએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટ વધારવાની તરફેણમાં મતદાન કર્યું હતું. ગયા વર્ષના મેથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં અઢી ટકા વધારો કરાયો છે. રિઝર્વ બેન્ક ફુગાવાને નીચો લાવવા વ્યાજ દર વધારી રહી છે. ૬.૫૦ ટકાનો દર ફેબુ્રઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટીએ છે. ડિસેમ્બરની બેઠકમાં એમપીસીએ રેપો રેટમાં ૩૫ બેઝિસ પોઈન્ટ જ્યારે તે પહેલાની ત્રણ બેઠકમાં દરેકમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો. ૨૦૨૨ના મેની બેઠકમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો.
આગામી નાણાકીય વર્ષમાં ફુગાવો ઘટશે પરંતુ તે ચાર ટકાથી ઉપર રહેશે, એમ પણ ગવર્નરે જણાવ્યું હતું. બે ટકા ઉપરનીચે સાથે રિઝર્વ બેન્કને ફુગાવાનું સ્તર ચાર ટકા જાળવવા જવાબદારી સોંપાઈ છે. ભૌગોલિક-રાજકીય પરિબળોે તથા ક્રુડ ઓઈલના ભાવમાં વોલેટિલિટીથી ફુગાવાનું પ્રમાણ ઊંચુ જળવાઈ રહેશે, એમ ગવર્નર દાસે એમપીસીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવાનું સરેરાશ સ્તર ૬.૫૦ ટકા જ્યારે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં આ આંક ૫.૩૦ ટકા રહેવા શકયતા છે. ડિસેમ્બરમાં ફુગાવો ઘટી ૫.૭૨ ટકા રહ્યો હતો.
રવી મોસમમાં ઘઉં તથા તેલીબિયાંની ઉપજ ઊંચી રહેવાની શકયતા રહેલી છે,જેને કારણે ખાધાખોરાકીનો ફુગાવો મંદ પડશે.
આગામી નાણાં વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દર ૬.૪૦ ટકા રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે જ્યારે વર્તમાન નાણાં વર્ષ માટે આ દર અગાઉની ધારણાં કરતા વધારી સાત ટકા કરાયો છે. ડિસેમ્બરની બેઠકમાં એમપીસીએ વર્તમાન નાણાં વર્ષ માટે જીડીપીનો અંદાજ ૬.૮૦ ટકા મૂકયો હતો.
વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં ભારે અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. વૈશ્વિક આર્થિક આઉટલુક જે અગાઉ જણાતું હતું એટલું ગંભીર હવે જણાતું નથી. મોટા અર્થતંત્રોમાં વિકાસ ભાવિ ઉજળું જણાય છે.
આરબીઆઇની નાણાકીય નીતિના મુખ્ય મુદ્દાઓ
- રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરી ૬.૫૦ ટકા કરાયો
- વર્તમાન નાણાં વર્ષ માટેનો આર્થિક વિકાસ દર અંદાજ સાત ટકા મુકાયો
- આગામી નાણાં વર્ષમાં ફુગાવો ઘટી ૫.૩૦ ટકા રહેવા ધારણાં
- ૬.૫૦ ટકાનો દર ફેબુ્રઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટી
- રેપો રેટ વધારવાની માત્રા ધીમી પડાઈ
- વૈશ્વિક સ્થિતિ અને કોમોડીટીના ઉંચા ભાવને કારણે ફુગાવામાં મોટા ઘટાડાની શક્યતા ઓછી
- ૨૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ફોરેન એેક્સચેન્જ રિઝર્વ વધીને ૫૭૬.૮ અબજ ડોલર
- ભારત આવતા પ્રવાસીઓને તેમના મરચન્ટ પેમેન્ટમાંથી યુપીઆઇનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે
- ૧૨ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ક્યુઆર કોડ આધારિત કોઇન વેન્ડિંગ મશીન (ક્યુસીવીએમ) શરૂ કરાશે
- આરબીઆઇની મોનિટરી પોલિસી કમિટીની આગામી બેઠક ૩ થી ૬ એપ્રિલ વચ્ચે યોજાશે
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/L2zdJ0O
via IFTTT
ટિપ્પણીઓ નથી: