JNUમાં શિવાજી મહારાજ મુદ્દે ABVP અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

image : Twitter


નવી દિલ્હી, તા 20, ફેબ્રુઆરી, 2023,સોમવાર 

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)માં છત્રપતિ શિવાજીના અપમાન અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) અને ડાબેરી સંગઠનના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. એબીવીપીએ ડાબેરી સંગઠનના કાર્યકરો પર ઝપાઝપી-મારામારી કરવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે એબીવીપીએ શિવાજીની જયંતિ પર પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આ હોબાળો સર્જાયો હતો. 

શિવાજીની તસવીર ફેંકવાનો આરોપ 

એબીવીપી સચિવે આરોપ મૂક્યો કે ડાયસ પર શિવાજીની તસવીર રાખી તેમને પુષ્પાંજલિ અર્પિત કરી વિદ્યાર્થીઓ તેમની જીવનગાથાનું સ્મરણ કરી રહ્યા હતા. આ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં અવરોધ પેદા કર્યો અને તેમની તસવીર ઉઠાવી ફેંકી દીધી અને કહ્યું કે અહીં શિવાજી નહીં ચાલે. 

જેએનયુના વિદ્યાર્થી સંગઠને પણ આરોપ મૂક્યો 

જેએનયુના વિદ્યાર્થી સંગઠને આરોપ મૂક્યો કે આઈઆઈટી બોમ્બેના એક વિદ્યાર્થી માટે ન્યાયની માગ અંગે યોજવામાં આવેલી કૂચ બાદ એબીવીપી સાથે જોડાયેલા અમુક વિદ્યાર્થીઓએ એ લોકોના કાર્યક્રમને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. એબીવીપીએ આરોપો નકારી કાઢ્યા હતા. કેમ્પસમાં હોબાળા બાદ પોલીસે બંને વિદ્યાર્થી સંગઠનોને સમજાવી શાંત કરાવ્યા હતા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nEQxyDR
via IFTTT

ટિપ્પણીઓ નથી: