ઈમરાન ખાને તુર્કેઈ મામલે પાકિસ્તાન PM પર કર્યા કટાક્ષ, જનરલ બાજવા-અમેરિકા પર લગાવ્યા ગંભીર આરોપ

લાહોર, તા.16 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક ઈન્સાફ પાર્ટી (PTI)ના વડા ઈમરાન ખાનને દેશના તૂટવાનો ડર સતાવી રહ્યો છે. ગુરુવારે એક રેડિયો ઈન્ટરવ્યુમાં ચિંતા વ્યક્ત કરતા ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન તે દિશામાં જઈ રહ્યું છે, જે તમામના હાથમાંથી સરકી જશે. જ્યારે આર્થિક કટોકટી આવી ત્યારે સોવિયેત યુનિયન વિશ્વનું સુપર પાવર હતું, તે પણ તૂટી ગયું. ઈમરાન ખાને પોતાને વડાપ્રધાન પદેથી હટાવવા પાછળ અમેરિકન રાજદ્વારી ડોનાલ્ડ લુ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને જવાબદાર ઠેરવી તેમના પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ડોનાલ્ડ લુ અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના વિભાગમાં ઉપસચિવ છે.

મારા વિરુદ્ધ પ્રચાર કરવા હુસૈન હક્કાની નિમણૂક કરાઈ હતી : ઈમરાન ખાન

ઈમરાન ખાને પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે જો ઈમરાન ખાનને હટાવવામાં નહીં આવે તો પાકિસ્તાન માટે પરિણામ સારા નહીં આવે. જનરલ બાજવા દ્વારા હુસૈન હક્કાનીની નિમણૂક મારા વિરૂદ્ધ પ્રચાર કરવા માટે કરાઈ હતી અને આ ધમકી બાજવાના ઈશારે જ અપાઈ હતી. ઈમરાન ખાને તત્કાલીન સેના પ્રમુખ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, બાજવા કેવી રીતે નક્કી કરી શકે કે દેશના પીએમ દેશ માટે સારા છે કે, ખરાબ...

શાહબાજના ભ્રષ્ટાચાર કેસમાં 4 સાક્ષી, 1 તપાસકર્તાનું મોત

ઈમરાન ખાને જનરલ બાજવા પર બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈમરાને કહ્યું કે, બાજવાએ બુશરા બેગમ (ઈમરાન ખાનની પત્ની)ની ટેપને એડિટ કરીને રિલીઝ કરી હતી. બાજવાએ મને બ્લેકમેલ કરવા આવું કર્યું હતું. પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન પર પ્રહાર કરતા ઈમરાન ખાને કહ્યું કે, શાહબાઝ શરીફ વિરુદ્ધ 16 અબજ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસ હતા. તે કેસમાં 4 સાક્ષીઓનું હાર્ટએટેકથી મોત થઈ ગયું, એટલું જ નહીં તે કેસમાં તપાસકર્તાનું પણ મોત થયું.

તુર્કેઈનો પાકિસ્તાનને ઈન્કાર, કતારને એન્ટ્રી

ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ શરીફની પ્રસ્તાવિત તુર્કેઈ મુલાકાતનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, શાહબાઝ શરીફ સાથે તુર્કેઈએ જે કર્યું.... વિચારો તુર્કેઈને બચાવવા માટે જવાના હતા, જોકે તુર્કેઈએ ઈન્કાર કરી દીધો. બીજી બાજુ નાનકડા દેશ કતારને ત્યાં આવવાનો દીધો. ઉલ્લેખનીય છે કે શાહબાજ શરીફ 8 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ દુઃખ વ્યક્ત કરવા તુર્કી જવાના હતા. જો કે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગાને તેમને મુલાકાત મુલતવી રાખવા વિનંતી કરી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DquyXFJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: