VIDEO : કરાંચી પોલીસ હેડક્વાર્ટરમાં હેન્ડ ગ્રેનેડ ફેંકી 10 આતંકવાદીઓ અંદર ઘુસ્યા, અંધાધૂંધ ફાયરિંગ, 2 આતંકી ઠાર

કરાંચી, તા.17 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકીઓએ કરાંચીના પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે. શસ્ત્રો અને બોમ્બથી સજ્જ 8થી 10 આતંકવાદીઓ શુક્રવારે સાંજે પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા અને હુમલો કરી રહ્યા છે.

પહેલા બ્લાસ્ટ પછી ફાયરિંગ

પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ પહેલા હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. આતંકવાદીઓએ સૌપ્રથમ પોલીસ હેડક્વાર્ટર પર બોમ્બથી હુમલો કર્યો અને ત્યારબાદ આતંકીઓ હેડક્વાર્ટરમાં ઘૂસવામાં સફળ થયા તો તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં ઘણા પોલીસ કર્મચારીઓના મોતના સમાચાર છે. જો કે હજુ સુધી સત્તાવાર આંકડો જાહેર થયો નથી. આતંકવાદીઓ હજુ પણ પોલીસ હેડક્વાર્ટરમાં છે.

બે આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાનના જિયો ટીવી અનુસાર કરાંચીમાં શરિયા ફૈઝલના મુખ્ય માર્ગ પર આવેલ કરાંચી પોલીસ હેડક્વાર્ટરના કાર્યાલય પર સશસ્ત્રોથી સજ્જ લોકોએ ગોળીબાર કર્યો હતો. હુમલો સાંજે 7.10 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને હજુ પણ ગોળીબાર ચાલુ છે. જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે. ઉપરાંત ત્રણ લોકો - એક રેન્જર્સ કર્મચારી અને એક પોલીસ અધિકારી સામેલ છે, જેઓ ઈજાગ્રસ્ત થયા છે. ગોળી વાગવાથી એક બચાવ અધિકારી ઈજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગોળીબારનો ભોગ બનેલા અન્ય બે વ્યક્તિઓની હાલત ખતરાની બહાર છે.

આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સદર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી મુખ્ય ઓફિસ પર સશસ્ત્રધારી શકમંદોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સિંધના ગવર્નર કામરાન ટેસોરીએ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પોલીસ મહાનિરીક્ષક ગુલામ નબી મેમણ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે અધિકારીઓને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. આ હુમલો ચિંતાનું ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t6yeawX
via IFTTT

ટિપ્પણીઓ નથી: