ઇસ્કોન બ્રીજ પર જેગુઆરના ગોઝારા અકસ્માત પહેેલા ડમ્પર સાથે અકસ્માત કરનાર સગીરને કાર આપનાર વિરૂદ્વ કાર્યવાહી કરાશે

અમદાવાદ,શુક્રવાર

એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ  પર જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે  કાળ બનીને નવનો ભોગ લીધાની ઘટના બની ત્યારે થાર અને ડમ્પર વચ્ચે અગાઉથી અકસ્માત થયો હતો અને મૃતકો પૈકી પોલીસ સ્ટાફ ફરજના ભાગરૂપે હાજર હતો અને બાકીના લોકો અકસ્માત જોવા માટે એકઠા થયા હતા. પોલીસે તપાસ કરતા  થારનો ચાલક  સગીર વયનો હતો. જે અંગે એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ દ્વારા સગીરના પિતા કે તેને વાહન આપનાર વિરદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.  આ સાથે અમદાવાદમાં સગીર ચાલકો દ્વારા થતા અકસ્માતના કિસ્સાઓમાં તેમને વાહન આપનાર વાલી કે વ્યક્તિ વિરૂદ્વ ગુનો નોંધવા માટે સુચના પણ આપવામાં આવી છે. કર્ણાવતી કલબથી રાજપથ કલબ જવાના રસ્તા પર  રાતના સાડા બાર વાગ્યાના સુમારે ઇસ્કોન બ્રીજ પર એક હાર્દિક ઠાકોર નામના સગીરે તેની થારને પુરઝડપે હંકારતા આગળ જઇ રહેલા ડમ્પરના પાછળના ભાગે અથડાવીને અકસ્માત કર્યો હતો. જે અકસ્માતની જાણ થતા એસ જી હાઇવે-૨ ટ્રાફિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અકસ્માત સંબધિત કાર્યવાહી થતી હતી અને  ત્યાં લોકોનું ટોળુ અકસ્માત બાદ એકઠું થયું હતું. આ સમયે તથ્ય પટેલ પુરઝડપે કાર ચલાવીને ત્યાં આવ્યો હતો. જે ઘટનામાં નવ લોકોના જીવ ગયા હતા. આમ એક જ સ્થળે એક જ કલાકમાં બે અકસ્માત સર્જાયા હતા. થાર અને ડમ્પર વચ્ચેના અકસ્માત  અંગે ટ્રાફિક વિભાગના સિનિયર અધિકારીઓએ સુચના આપી છે કે ૧૬ વર્ષના  હાર્દિક ઠાકોરને કાર આપનાર તેના પિતા કે કાર આપનાર વ્યક્તિ વિરૂદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરવી. આ ઉપરાંત, અમદાવાદ ટ્રાફિક પોલીસના સ્ટેશનના અધિકારીઓને સુચના આપવામાં આવી છે  ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને અકસ્માત થવાના કિસ્સામાં સગીર આરોપી હોય તો તાકીદથી તેને વાહન આપનાર વિરૂદ્વ ગુનો નોંધવો. આ સાથે અમદાવાદમાં સગીર વિરૂદ્વ નોંધાયેલા ગુનાના તમામ માહિતી પણ એકત્ર કરવામાં સુચના આપવામાં આવી છે. જેમાં ગંભીર ગુનાઓને અલગ તારવીને સગીરને વાહન આપનારને વિરૂદ્વ કાર્યવાહી કરાશે.

 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Vq6CrzI
via IFTTT

ટિપ્પણીઓ નથી: