ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરે શિવશક્તિ પોઈન્ટથી 100 મી.નું અંતર કાપ્યું


- ચંદ્રના એક દિવસમાં 500 મીટર અંતર કાપવાનું પ્રજ્ઞાન રોવરનું લક્ષ્ય હતું

- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવરને સલામત રીતે પાર્ક કરાયું,

- પ્રજ્ઞાન રોવરમાં નાસાનું 'આરે' અંધારામાં પણ જાગતું રહેશે

નવી દિલ્હી : ઈસરોએ શનિવારે સૂર્ય મિશન માટે આદિત્ય-એલ૧ અવકાશયાનના સફળ લોન્ચિંગની વધુ એક સિદ્ધિ મેળવી છે ત્યારે ઈસરો પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રની ધરતી પર પ્રજ્ઞાન રોવરે શિવશક્તિ પોઈન્ટથી ૧૦૦ મીટરનું અંતર કાપ્યું છે. જોકે, હવે ચંદ્ર પર રાત શરૂ થવાની હોવાથી ઈસરો એક-બે દિવસમાં પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને સુવડાવી દેશે.

ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરે અત્યાર સુધીમાં ચંદ્રની સપાટી પર શિવ શક્તિ પોઈન્ટથી ૧૦૦ મી.નું અંતર કાપ્યું છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને સારી રીતે કામ કરી રહ્યા છે. બંનેના બધા જ પેલોડ્સ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. જોકે, ચંદ્રની ધરતી પર ૫-૬ સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ધ્રુવ પર અંધારુ છવાઈ જશે. ચંદ્રનો એક દિવસ આથમી જશે અને હવે રાતનો સમય શરૂ થશે, જે આગામી ૧૪-૧૫ દિવસ સુધી રહેશે.

જોકે, પ્રજ્ઞાન રોવરનું લક્ષ્ય ચંદ્રનો એક દિવસ પૂરો થાય તે પહેલાં ૫૦૦ મીટરનું અંતર કાપવાનું હતું. તે સતત પ્રતિ સેકન્ડ એક સે.મી.ની ગતિએ આગળ વધી રહ્યું છે. તે હજુ ૫-૬ દિવસ તેને સૂરજની ઊર્જા મળશે ત્યાં સુધી ચંદ્રની સપાટી પર કામ કરતું રહેશે. ત્યાર પછી ઈસરો પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને સ્લીપમોડમાં મૂકી દેશે. 

ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ધૂ્રવ પર ઉતરાણ કર્યું ત્યારે ત્યાં દિવસ શરૂ થઈ રહ્યો હતો. પ્રજ્ઞાન અહીં ૧૪-૧૫ દિવસ સુધી કામ કરી શકે તે માટે જ ઈસરોએ શિવશક્તિ પોઈન્ટની પસંદગી કરી હતી. આ સ્થળે હવે આગામી ૪-૫ દિવસમાં રોવર પર સૂર્ય પ્રકાશ નહીં ાવે. તેથી બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરીને લેન્ડર અને રોવરની સિસ્ટમ બંધ કરી દેવાશે. જેથી જરૂર પડતા તેને ફરીથી ઓન કરી શકાય. જોકે, આ સમયમાં પ્રજ્ઞાન રોવરમાં રહેલું અમેરિકાની નાસાનું લેઝર રેટ્રોરિફ્લેક્ટર આરે(એલઆરએ) નામનું વૈજ્ઞાનિક ઉપકરણ તેની કામગીરી શરૂ કરશે.

ચંદ્ર પર પૃથ્વીના ૧૪-૧૫ દિવસનો એક દિવસ અને બીજા ૧૪-૧૫ દિવસ એક રાત હોય છે. લેન્ડર અને રોવરમાં સૌર પેનલ છે, જે સૂરજની ઊર્જાથી ચાર્જ થાય છે. આમ, તેમને સૂરજનો પ્રકાશ મળશે ત્યાં સુધી બેટરી ચાર્જ થશે અને ત્યાર પછી તે સ્લીપમોડમાં જતા રહેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EcUHpFO
via IFTTT

ટિપ્પણીઓ નથી: