હવામાન વિભાગની મહત્વની જાહેરાત : દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી

નવી દિલ્હી, તા.22 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

ભારતીય હવામાન વિભાગ - IMDએ દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય અંગે મોટી જાહેરાત કરી છે. આઈએમડીએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી વિદાય લેવાની સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું એક જુન સુધી કેરળ પહોંચે છે, 8 જુલાઈ સુધીમાં દેશભરમાં પહોંચી જાય છે અને 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે, જ્યારે 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણ વિદાય લઈ લે છે.

વરસાદનું જોર ઘટ્યા બાદ ચોમાસું વિદાય લેશે

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસો સુધી ઉત્તર-પશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ-મધ્ય ભારતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 25 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનથી વિદાય લેવાની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પરત ફરતું ચોમાસું એ ભારતીય ઉપખંડથી પરત ફરવાનું પ્રતિક છે. 

દેશભરમાં આ ચોમાસા સિઝનમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો

જો ચોમાસાની વિદાયમાં વિલંબ થાય તો તેને લાંબા વરસાદનું મોસમ કહેવાય છે, જેના કારણે કૃષિ ઉત્પાદનનો પણ અસર પડી શકે છે. દેશમાં આ ચોમાસા સિઝન દરમિયાન સામાન્ય 832.4 મિમીની તુલનામાં અત્યાર સુધીમાં 780.3 મિમી વરસાદ પડ્યો છે... સામાન્ય રીતે દેશમાં ચાર મહિનાના ચોમાસા સિઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સરેરાશ 870 વરસાદ પડે છે.

જૂનમાં ઓછો વરસાદ, જુલાઈમાં ભારે વરસાદ પડ્યો

દેશમાં જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો હતો, જોકે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મૈડેન-જૂલિયન આસલેશન એમજેઓ)ના અનુકુળ તબક્કાના કારણે જુલાઈમાં ભારે વરસાદ જોવા મળ્યો... ભારતીય હવામાન વિભાગે આજે કહ્યું કે, ઓક્ટોમ્બરના પ્રથમ અઠવાડિયે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ઓડિશામાં ઓક્ટોબર મહિનો ચક્રવાતનો સમયગાળો હોવાનું માનવામાં આવે છે, જોકે હાલ આવી કોઈપણ આગાહી કરવામાં આવી નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/041juJc
via IFTTT

ટિપ્પણીઓ નથી: