અદાણી ગ્રુપ કંપનીઓને કેટલું ધિરાણ કર્યું છે ? બેંકો પાસેથી વિગતો માંગતી RBI

- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રૂ.23,000 કરોડનું ધિરાણ : પીએનબીનું રૂ.7000 કરોડ, બેંક ઓફ બરોડાનું રૂ.4000 કરોડનું ધિરાણ
મુંબઈ : અદાણી ગ્રુપ મામલે અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડેનબર્ગ રિસર્ચના ગંભીર આક્ષેપો કરતાં નેગેટીવ રીપોર્ટના પરિણામે અદાણી એન્ટરપ્રાઈસીઝના એફપીઓને પૂર્ણ ભરાઈ ગયા છતાં વિશ્વભરમાં આકરાં પ્રત્યાઘાત સાથે સંસદના બન્ને ગૃહોમાં વિપક્ષોએ અમૃતકાળનું સૌથી મોટું કૌભાંડ લેખાવી કામગીરી ઠપ્પ કરી દેતાં અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ મામલામાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં ૧૦૦ અબજ ડોલરના થયેલા ધોવાણના પગલે ભારતીય બેંકો પાસેથી તેમનું અદાણી ગ્રુપ કંપનીઓને કેટલું ધિરાણ થયેલું છે એની વિગતો માંગી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ આ સંબંધિત હલચલ પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ ક્રેડિટ સૂઈસ દ્વારા તેમના ખાનગી બેંકિંગ ગ્રાહકોને માર્જિન લોન માટે ગીરો-કોલેટરલ તરીકે અદાણી ગ્રુપ કંપનીઓના બોન્ડસ સ્વિકારવાનું બંધ કરી દેતાં અને સિટી ગ્રુપના વેલ્થ એકમે પણ તેમના ગ્રાહકોને માર્જિન લોન માટે અદાણી ગ્રુપ કંપનીઓની સિક્યુરિટીઝ નહીં સ્વિકારવાનો નિર્ણય લેતાં આખરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હરકતમાં આવીને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હોવાનું બેંકિંગ સૂત્રો જણાવે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતે અદાણી ગ્રુપમાં ૨.૬ અબજ ડોલરનું એટલે રૂ.૨૩,૨૦૦ કરોડ જેટલું ધિરાણ-એક્સપોઝર ધરાવતું હોવાનું જાહેર કર્યું છે. આ સિવાય પંજાબ નેશનલ બેંક(પીએનબી) અદાણી ગ્રુપને પર્યાપ્ત રોકડ પ્રવાહના સપોર્ટ અને વર્તમાન સમયે પરત ચૂકવણીની ચિંતા વિના અત્યારે રૂ.૭૦૦૦ કરોડનું કુલ ધિરાણ ધરાવતું હોવાનું જાહેર કર્યું છે.બેંક ઓફ બરોડા રૂ.૪૦૦૦ કરોડનું ધિરાણ ધરાવે છે. અન્ય બેંકોએ હજુ કેટલું ધિરાણ ધરાવે છે એ જાહેર કર્યું નથી.
આ દરમિયાન હજુ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હજુ અદાણી શેરોમાં ધબડકા અને અદાણી એન્ટરપ્રાઈસીઝના રૂ.૨૦,૦૦૦ કરોડના એફપીઓને રદ કરવાના મામલામાં કોઈ તપાસ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપનું કોન્સોલિડેટેડ કુલ દેવું રૂ.બે લાખ કરોડથી વધુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hXN4ZrW
via IFTTT
ટિપ્પણીઓ નથી: