લદ્દાખ : કારગિલમાં ભંગારની દુકાનમાં ભયંકર વિસ્ફોટ, 3ના મોત, 8 ઈજાગ્રસ્ત

કારગિલ, તા.18 ઓગસ્ટ-2023, શુક્રવાર
લદ્દાખના કારગિલમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. દ્રાસમાં આવેલી ભંગારની દુકાનમાં આજે સાંજે ભયંકર વિસ્ફોટ થયો છે, જેમાં 3 લોકોના ઘટનાસ્થલે જ મોત થયા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તુરંત દ્રાસની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વિસ્ફોટની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલ વિસ્ફોટ કયા કારણોસર થયો, તેનો ખુલાસો થયો નથી.
જિલ્લા કમિશ્નર હોસ્પિટલ પહોંચ્યા
કારગિલ જિલ્લા કમિશ્નર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ દ્રાસ ઉપ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી છે. તેમણે સ્થાનિક સત્તાવાળાઓને વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને તમામ મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સીએમઓને પણ જરૂરી નિર્દેશ અપાયા છે. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વિસ્તૃત તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા 3માંથી 1 જમ્મુનો અને 2 દ્રાસના હતો. જ્યારે અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
બ્લાસ્ટ બાદ લોકોમાં રોષ
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્રાસમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે, જે જગ્યાએ વિસ્ફોટ થયો તે ભંગારની દુકાન બજાર પાસે છે, જેના દુર રાખવી જોઈએ. ભંગાર ભેગો કરનારાઓ આર્મી વચ્ચે જતા હોય છે, ખબર નથી, તેઓ શું શું લઈને આવતા હશે. અમે અગાઉ પણ કહ્યું હતું કે, ભંગારની દુકાનોને શહેરથી દૂર રાખવી જોઈએ. આ દુકાન બજારની મધ્યમાં છે. અહીં સર્જરી માટે કોઈ ડૉક્ટર નથી. ઈજાગ્રસ્તોને પણ પુરતી સુવિધા મળે તેવી સંભાવના પણ ઓછી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bdVtgvw
via IFTTT
ટિપ્પણીઓ નથી: