કોંગ્રેસ નેતા અધીર રંજને PM મોદી વિરુદ્ધ આવા શબ્દો બોલવા ભારે પડ્યા, લોકસભામાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ

નવી દિલ્હી, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર ટિપ્પણી કરતા તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. જ્યાં સુધી મામલો પ્રિવિલેજ કમિટી પેન્ડિંગ છે અને તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનિ છે કે, ગઠબંધન INDIA દ્વારા મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવનો લોકસભામાં ધ્વનિમતથી અસ્વિકાર કરાયો છે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગૃહમાં પ્રસ્તાવ રજુ કરતી વખેત કહ્યું કે, કોંગ્રેસ નેતા દર વખતે દેશ અને સરકારની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. અમે તે વખતે જ માફીની માંગ કરી હતી, પરંતુ તેમણે માફી ન માગી... તેમના વિરુદ્ધ પ્રસ્તાવ લવાયો છે અને તેનો સ્વિકાર કરાયો છે... સ્પીકરે કહ્યું કે, અધીર રંજનનું વર્તન સંસદને અનુરુપ નહોતું...
અધીર રંજન ચૌધરીએ શું કહ્યું હતું ?
દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, વિશ્વાસ પ્રસ્તાવની તાકાત આજે વડાપ્રધાનને સંસદમાં લઈને આવી છે... આ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે અમારામાંથી કોઈપણ વિચારી રહ્યું ન હતું... અમે તો માંગ કરી રહ્યા હતા કે, પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દે બોલે...
‘નીરવ મોદી બનીને ચુપચાપ બેઠા છે’
અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી અંગે કહ્યું કે, જ્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા, ત્યારે દ્રોપદીનું વસ્ત્ર હરણ થયું હતું... આજે પણ રાજા અંધ બનીને બેઠા છે... મણિપુર અને હસ્તિનાપુરમાં કોઈ તફાવત નથી... નરેન્દ્ર મોદી નીરવ મોદી બનીને ચુપચાપ બેઠા છે.. ભાજપે મણિપુરના એમપીને સંસદમાં બોલવાની તક ન આપી...
અધીર રંજન ચૌધરીના નિવેદન પર થયો હંગામો
કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ ગૃહમાં હંગામો શરૂ થઈ ગયો હતો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તે વખતે ગૃહમાં કહ્યું કે, વડાપ્રધાન એક હાઈ ઓથોરિટી છે... તેમણે માફી માંગવી જોઈએ... વડાપ્રધાન વિરુદ્ધ આધાર વગરનો આક્ષેપ સ્વિકારી શકાય નહીં... આ મામલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, કોંગ્રેસ નેતાના વાક્યને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XbEkywt
via IFTTT
ટિપ્પણીઓ નથી: