રાહુલ ગાંધીને તુગલક લેનવાળો સરકારી બંગલો પરત મળશે ? જાણો શું છે નિયમ

નવી દિલ્હી, તા.07 ઓગસ્ટ-2023, સોમવાર
સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ સાથે સંકળાયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની દોષિત ઠેરવવાની અને 2 વર્ષની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે આજે રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદ ફરી પરત આપી દીધું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, સાંસદ પદ પરત મલ્યા બાદ રાહુલ ગાંધીને તેમનો સરકારી બંગલો ક્યારે મળશે ? આ માટે શું પ્રક્રિયા છે... તો આ બાબતે જાણીએ...
...તો રાહુલ ગાંધીને તુગલક લેનમાં આવેલો સરકારી બંગલો પરત અપાશે
રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ પાછુ મેળવી લીધું છે હવે તેમણે દિલ્હીના તુગલક લેનમાં આવેલ સરકારી બંગલો પરત મેળવવા માટે લોકસભા હાઉસિંગ કમિટીને ફરી અરજી કરવી પડશે. મળતી અહેવાલો મુજબ લોકસભા હાઉસિંગ કમિટીએ હજુ સુધી આ બંગલો અન્ય કોઈ સાંસદને એલોટ કર્યો નથી. જો આ બંગલા માટે રાહુલ ગાંધી એપ્લાય કરશે તો તેમને બંગલો ફરી એલોટ કરવામાં આવશે.
અધીર રંજન ચૌધરીએ લોકસભા હાઉસિંગ કમિટી સામે ઉઠાવ્યો મામલો
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ આજે લોકસભા હાઉસિંગ કમિટી સામે રાહુલ ગાંધીના સરકારી બંગલાનો મામલો ઉઠાવ્યો હતો. ચૌધરી રાહુલ ગાંધી તરફથી બંગલા માટે એપ્લાય કરવા માંગતા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે, નિયમ મુજબ માત્ર રાહુલ ગાંધી જ બંગલા માટે એપ્લાય કરી શકે છે. રાહુલ ગાંધીએ 22મી એપ્રિલે સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.
સાંસદ પદ પરત મળ્યા બાદ આજે રાહુલ ગાંધીની સંસદમાં એન્ટ્રી
બીજી બાજુ સાંસદ પદ પરત મળ્યાં બાદ સમગ્ર કોંગ્રેસ સહિત વિપક્ષી દળોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ત્યારે સાંસદ પદ પરત મળ્યાં બાદ પહેલીવાર રાહુલ ગાંધી લોકસભામાં પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે વિપક્ષ અને કોંગ્રેસના નેતાઓ લોકસભાના દ્વાર પર પહોંચ્યા હતા.
136 દિવસની કાનૂની લડાઈ બાદ ગૃહમાં જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે સાંસદ પદ પાછું મેળવવા માટે 136 દિવસની કાનૂની લડાઈ લડી હતી અને છેવટે વિજય મેળવ્યો હતો. સુપ્રીમકોર્ટે તેમને મોટી રાહત આપતાં તેમની સજા પર સ્ટે આપી દીધો હતો. જેના પગલે તેમને સાંસદ પદ પરત મળવું શક્ય બન્યું હતું. જોકે તેમને સાંસદ પદ પરત મળતાં જ કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઠેર ઠેર ઉજવણીના દૃશ્યો જોવા મળ્યા હતા.
2024ની લોકસભા ચૂંટણી પણ લડી શકશે
સુપ્રીમકોર્ટના આ નિર્ણયની સાથે જ રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડવાની સંભાવનાઓ પર છવાયેલા સંકટના વાદળો ફંટાઈ ગયા છે. તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે. જો સુપ્રીમકોર્ટે રાહુલની સજા અને દોષિત જાહેર કરવાના નીચલી કોર્ટના ચુકાદા પર રોક ન લગાવી હોત તો તે 2024ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા હોત.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rOE7UQk
via IFTTT
ટિપ્પણીઓ નથી: